પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
લીલુડી ધરતી–ર
 


ઘર ઘાલી બેઠો.

સંતુનાં વાણી-વર્તનમાં એકાએક પલટો આવી ગયો. ઊકળતી કડામાં કકડી ગયેલાં કાંડાંની શારીરિક વેદના તો અસહ્ય હતી જ; પણ એથી ય વધારે અસહ્ય તો ‘હું અપરાધી ઠરી’ એવી લાગણી માંથી જન્મતી માનસિક વેદના હતી. ફડફોલી ઊઠેલા હાથના જખમ તો ઘરગથ્થુ ઉપચારો વડે ધીમે ધીમે રુઝાવા લાગ્યા, પણ સંતુને કાળજે લાગેલો ઘા તો કેમેય કરીને રુઝાય જ નહિ. ઊલટાની, દિવસે દિવસે એની માનસિક વેદના તીવ્રતર બનતી રહી.

પોતે અતિઉત્સાહમાં અને વધારે પડતી આત્મશ્રદ્ધામાં આપમેળે જ વહોરી લીધેલ અગ્નિપરીક્ષામાંથી પરિણમેલી આ અંતરની વેદનાનું નિદાન કરવાનું કોઈનું ગજું નહોતું. એની ભયભીત આંખો અને બહાવરું વર્તન જોનારાઓ એમાંથી જુદો જ અર્થ તારવવા લાગ્યાં.

‘માણસ બેબાકળું થઈ જ જાય. કાચો રંડાપો જીરવો સહેલ છે ?’

‘બચાડીને વે’ વિનાની વ૫ત્ય પડી છે. હજી એની ઉમ્મર શું ને વાત શું ! હજી એણે જંદગી થોડી જોઈ કે’વાય ?’

‘ઈ વાત લીલો સાંઠો કે’વાય, કાચો રંડાપો કાઢવો સહેલ નથી.’

આવી આવી પ્રાસ્તાવિક માર્મિક ટકોર કરીને લોકો હળવેકથી મમરો મૂકતાં :

‘ઈ તો આછું પાતળું ગોતી લેતાં આવડવું જોયીં, મારી બૈ !’

‘આછું પાતળું શું કામે ને ગોતે ? ભર્યું ભાદર્યું ન ગોતે ? હજી તો સાવ નછોરવી છોકરી છે–’

સંતુના ભાવિ અંગે એના હિતેચ્છુઓ આવી વણમાગી વિચારણાઓ કરી રહ્યા હતા ત્યાં જ એક વિચિત્ર ઘટના બની ગઈ.

રોજના રાબેતા પ્રમાણે ઠુમરની ખડકીએ છાશનો કળશ ભરવા આવેલી ઝમકુએ એની જૂની આદત મુજબ ઠૂઠવો મૂક્યો.

ગિધાના મૃત્યુ પછી આવી પ્રાણપોક મૂકવાનું ઝમકુને હવે