પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝમકુનો કોયડો
૧૭૧
 


કોઈ જ પ્રયોજન નહોતું રહ્યું, તેથી ઊજમે આશ્ચર્ય અનુભવીને આજના રુદનનું કારણ પૂછ્યું.

રુદનનું પ્રયોજન સીધેસીધું નિવેદિત કરવાને બદલે ઝમકુએ તો જાણે કે પોતાની આત્મકથા જ આરંભી :

‘હું તો જલમદખિયારી... મારાં કરમમાં સુખનો રોટલો લખ્યો જ નથી... હું તો બાળોતિયાની બળેલ... મહાણમાં ય મારાં લાકડાં ટાઢાં નહિ થાય...’

‘મહાણમાં પૂગવાની આટલી બધી શી ઉતાવળ આવી છે ?’ ઊજમે પૂછ્યું.

‘ઓલે ભવ દુઃખનાં પોટલાં જ લખાવીને આવી હઈશ, પછી સુખનો રોટલો ક્યાંથી જડે ? હું તો જલમદખિયારી—’

‘પણ થ્યું શું ? વાત તો કરો, ઝમકુભાભી ?’ ઊજમે પૂછ્યું. ‘ગિધોભાઈ પાછા થ્યા કેડ્યે તો તમારે કોઈ વાતનો ઉદરાવો નથી રિયો—’

‘ભૂત મરે તો પલિત જાગે; એમ એક સોણે ક્યાં રાત્ય પૂરી થવાની હતી ?’

ઝમકુની આ મર્મવાણી સાંભળીને ઊજમને થયું કે વાત કાંઈક વિશેષ ઊંડી છે. શૂન્યમનસ્ક બેઠી રહેતી સંતુને પણ આ ભેદી રુદનમાં રસ પડ્યો.

‘ઝમકુભાભી ! તમે તો હવે જાતી જંદગીમાં આવી ઉપાધિ મેલીને ભગવાનનું નામ લ્યો.’

‘મેં તો ઘણી ય ઉપાધિ મેલી દીધી છે. પણ ઉપાધિ મને ક્યાં મેલે એમ છે ? ભૂત મરે તો પલિત જાગે.’

ઝમકુની ઉક્તિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યા કરતા આ ભૂત–પલિતના તકિયાકલામે ઊજમને અને સંતુને ભડકાવી મૂક્યાં. એમને થયું કે ઝમકુના મનની વાત કાંઈક ઝીણી છે.

‘તમારે શું દુઃખ છે ?’ ઊજમે ઔપચારિક આશ્વાસન આપ્યું.