પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
લીલુડી ધરતી–ર
 


‘ભગવાનનાં દીધાં ઘેરોએક જણ્યાં છે. વળી દેનારે ગોઠણ સમી જાર્ય દીધી છે, એટલે ઈ પાંતીની ય ચંત્યા નથી. તમતમારે આવી હંધી ય હાયવોય મેલીને મૂળાને પાંદડે મજો કરો ની, ઝમકુભાભી !’

‘રોયો દામલો મને ક્યાં સુખ લેવા દિયે એમ છે ?’ કહીને ઝમકુએ સગા ભાઈ દામજી ઉપર દાઝ કાઢી. ‘વાંઝિયો મને ઘરઘાવવાની વાત કરે છે ! મરી ગ્યાનું મૂળ જાય !’

સાંભળીને ઊજમ-સંતુને એવો તો આંચકો લાગ્યો કે ફાટી આંખે ઝમકુ તરફ તાકી જ રહ્યાં. અને ઝમકુની જીભ વણબોલાવી પણ પીપળાના પાનની જેમ ઊપડી :

‘આ હું ગલઢે ગઢપણે ઘરઘરણું કરું ઈ તો શોભતું હશે મલકમાં ? મૂવા દામલાને જરા ય વચાર નહિ થ્યો હોય ? આ હું આટલાં જણ્યાંની મા ઊઠીને નાતરે જાઉં તો મનખ્યો મારી ઠેકડી જ કરે કે બીજુ કાંઈ ? ને હેં બૈ ! સાચું કહેજે, ‘નાતરે જાનારી પોતાની આંગળીએ પણ કેટલાંક જણ્યાંને લઈ જાય ? ગાડું એક છોકરાં આંગળિયાત થઈને જાય, એવું તી ક્યાંય મલકમાં ય સાંભળ્યું છે...? પણ દામલાની મૂવાની દાનત જ ખોરી ટોપરા જેવી. માલીપાથી એમ કે હું છૈયાંછોકરાને લઈને કો’કના રોટલા ઘડવા જાઉં તો મારા વરની હંધી ય કમાણીનો પોતે ધણી થઈ બેહે. પણ હું એમ ક્યાં કાચી છું કે આ ઊતર્યે કાળે ઉજાણી જેવું ઘરઘરણું કરું ? એક તો મારા જીવતરમાં ધૂળ પડે ને ગામને જોણું થાય... ના રે બૈ ! દામલો મર ની મને રોજ ઊઠીને કીધા કરે ? પણ મારે તો મારાં પેટનાં જણ્યાંનો વચાર કરવો કે નહિ ? નખોદિયા દામલાને મારાં જણ્યાંની શેની દયા આવે ! ઈ તો વાટ જ જોઈને બેઠો છ કે કે’દી ઝમકુ નાતરે જાય, ને કે’દી હું ઘરમાં સંજવારી કાઢી લઉં. પણ હું એવી હૈયાફૂટી છું કે મારા ધણીની કરી કમાણી હંધી ય દામલાના હાથમાં જવા દઉં ?...’

ઊજમ અને સંતું તો આ અસંબદ્ધ પ્રલાપ સાંભળીને વધારે