પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવતરનાં થીગડાં
૧૮૧
 


પારકાને જતિ કરે ઈ માંયલો છે—’

આવી આવી અટકળો થતી રહી અને દરમિયાન વાત આગળ વધતી રહી, અને છેક મુખીના ઘર સુધી પહોંચી ગઈ. રોતી રગડતી ઝમકુ, છેક ભવાનદાને આંગણે જઈ ઊભીને ‘રોયા દામલા’ સામેની પોતાની ફરિયાદ કહી સંભળાવી :

‘પીટડિયો મને પરાણે નાતરે મેલે છે—’

પોતાને આંગણે ધા નાખવા આવેલી ઝમકુની કથા સાંભળીને ભવાનદા પીગળી ગયા. અલબત્ત, એમને કશી દરમિયાનગીરી કરવાનો અધિકાર નહોતો, છતાં ગામના એક મોવડી તરીકે એમણે દામજીને તેડાવ્યો, ને ઝમકુની ફરિયાદ કહી સંભળાવી ત્યારે એમને વળી જુદી જ પરિસ્થિતિ જાણવા મળી.

‘ઝમકુડીને પંડ્યને જ નાતરે જાવું છે. હું ના કહું છું એટલે ગામ આખામાં મને વગોવી રહી છે.’

‘પણ આ છ છોકરાંની માવડીને સંઘરશે કોણ ?’

‘ઈ તો આઈને આતો જડી રે’શે કો’ક. પણ ઈ ગ્યા કેડ્ય, આ છ છોકરાંની ભૂંજાર્યને સાચવશે કોણ, એની મને ફકર્ય થાય છે. ને એટલા સારુ જ હું ના કવ છું. એટલે મને ગામ આખામાં ઉતારી પાડે છે.’

દામજીએ કરેલો આ ઘટસ્ફોટ મુખી માટે એક નવો જ અનુભવ બની રહ્યો. છ છ સંતાનોની જનેતાને પોતાનાં પ્રાણપુદ્‌ગળનો ત્યાગ કરતાં જરા ય વિચાર નહિ થતો હોય ? જરા ય અરેરાટી નહિ ઊપજતી હોય ? પણ હમણાં હમણાં ગામલોકો તરફથી આવા એકેકથી ચડિયાતા આઘાતો અનુભવી ચૂકેલા ભવાનદાને આ સમાચાર બહુ આઘાતજનક ન લાગ્યા : ‘આ કળગજમાં તો કોઈનો ભરોંહો કરવા જેવું નથી.’ એમ વિચારીને એમણે આશ્વાસન લીધું.

ઝમકુ તે દિવસે સંતુ અંગે અંગે ઘસાતું બોલી ગઈ એ પછી ઠુમરની ખડકીએ છાશ લેવા ફરી વાર આવી જ નહોતી. પણ