પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ ઊગતાં પહેલાં
૨૦૫
 


ઉગારું તો મારા મનનો ભાર હળવો થાય...’

નથુસોની અને અજવાળીકાકી મૂંગાં મૂગાં માંડણનું આ મનોગત સાંભળી રહ્યા. આજે આ પડોશી એમને સાવ જ જુદો લાગ્યો – અપરિચિત લાગ્યો. માંડણનું આ સ્વરૂપ એમનાથી સાવ અજાણ્યું જ હતું.

અજવાળીકાકીએ પૂછ્યું: ‘આ મૂંગા જીવને લઈને ક્યાં જાઈશ ?’

‘ક્યાંક પરમલકમાં ઊતરી જાઈશ, આઘે આઘે ક્યાંક હાલ્યો જાઈશ, જ્યાં કાળું કૂતરું ય મને ઓળખશે નહિ.’ માંડણે પોતાનું અંતર વાંચવા માંડ્યું. આમે ય હવે આ ગામમાં મને સોરવતું નથી, ધરતી ખાવા ધાય છે. ગોબરનું ગામતરું થ્યા કેડે મને ક્યાંય ચેન નથી પડતું, સાચું માનશો ? જેલમાંથી આવ્યા કેડ્યે મને ક્યાંય જંપવારો જડતો નથી. રાત્યની રાત્ય અજંપામાં કાઢું છું. ભજન મંડળીમાં જઈને બેસું છું, પણ જીવને શાતા નથી વળતી. મારી આંખ્ય સામે મોતની ભૂતાવળ જ ભમ્યા કરે છે. જીવતાજાગતાં ને હાલતાં ચાલતાં માણસનાં મોઢાં ઉપર પણ મને મોત કળાય છે. અટાણે આ નવા જીવનું મોઢું જોઈને મને જંદગાની દેખાણી છે. એને જીવતું રાખવા દિયો, તો ઈ મસે હું ય જીવી શકીશ. અટાણે તો હું આ બચોળિયાને જિવાડવા જાઉં છું. પણ કોને ખબર છે, કે કદાચ આ બચોળિયું જ મને જિવાડશે ? આ દુનિયામાં જીવને ઓથે જીવ જીવે છે––’

છાને ખૂણે ચાલતી ગુસપુસ શમી ગઈ.

ગડમથલ મટી ગઈ.

નવજાત શિશુના ભાવિ અંગે આખરી ફેંસલો થઈ ગયો.

સૂરજ ઊગતાં પહેલાં માંડણ આ બાળકીને બગલમાં વીંટીને ગુંદાસરની સીમ છોડી ગયો.

*