પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ પચીસમું

વસમો વેરાગ

એક અઠવાડિયા સુધી તો કોઈ માનવા તૈયાર નહોતું કે માંડણ ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.

‘ઘરમાં જ પુરાઈ રિયો હશે—’

‘ભlo હશે તો ભૂતેસરમાં પડ્યો પડ્યો ગાંજો ફૂંકતો હશે—’

‘રંગીભંગી માણસનું ભલું પૂછવું ! એને તો ઘર ને સીમ હંધું ય સરખું—’

એક અઠવાડિયા સુધી તો ઓળખીતાઓ એને ઘેરે સવારસાંજ તપાસ કરતાં રહ્યાં, ને અજવાળીકાકીને પૂછતાં રહ્યાં.

‘માંડણિયો છે ઘરમાં ?’

‘ભજનમંડળીમાંથી પાછો આવ્યો કે નહિ ?’

‘કે પછી ચરસની ગોળી ચડાવીને ઘેનમાં ઘોરતો નથી ને ?’

અજવાળીકાકી આ સહુ પૃચ્છકોને ટૂંકો જવાબ આપતાં :

‘ભાઈ ! અમે એને ભાળ્યો નથી.’

લાગલાગટ આઠ દિવસ સુધી માંડણ ક્યાંય દેખાયો જ નહિ; બજારે ન નીકળ્યો, જીવા ખવાસની હોટલને ઉંમરે ન ફરક્યો, ભૂતેશ્વરની જગ્યામાં ચલમ ફૂંકવા પણ ન ગયો, ત્યારે ગામલોકોને થયું કે જુવાન ક્યાંક ગામતરે ગયો છે.

‘પણ ક્યાં ગયો છે ? કયે ગામ ગયો છે ? ગામતરું પણ કેટલુંક લાંબું ? કઈ હૂંડી વટાવવા ગયો છે ?’

આ પ્રશ્નોના ઉત્તર ક્યાંયથી મળે એમ નહોતા.