આવ્યા.
‘માનો કે ન માનો, પણ ઠુમરના ખરડાને જ આવું વરદાન છે; એના કુટુંબમાં દર બીજી–ત્રીજી પેઢીએ એકાદ જણ તો વેરાગી થાય જ.’
‘જુવોની, આ હાદા પટેલની ત્રીજી પેઢીએ એના ગલઢા ઘરમા પટેલ સતીમાના ગોઠિયા થ્યા’તા, ને ગઢપણમાં એણે ગરનાર ઉપર ચડીને સમાધ લીધી’તી. ઈ પછે દેવશીએ વેરાગ લીધો, ને હવે આ માંડણિયે માથું મુંડાવ્યું.’
‘ઈ તો ઠુમરના ખોરડાને જ વરદાન લાગે છે, નીકર આમ આટલા બધા જણ હાથમાં બેરખા લઈને બેહી જાય ?’
‘તમે મર ઠેકડી કરો, પણ આ તો પુણ્યશાળી ઘરનાં એંધાણ ગણાય. સંસારની માયામમતા છોડવી કાંઈ રમત વાત છે ?’
માંડણના ગૃહત્યાગનું ગુપ્ત કારણ ન જાણનારાઓ તો એમાં દૈવી રહસ્યનું પણ આરોપણ કરી રહ્યાં :
‘ભાઈ ! આ સતીમાનું થાનક સાચવવું કાંઈ સહેલ વાત નથી. ઈ તો વારેઘડીએ એના ગોઠિયાના ભોગ માગે. નીકર, એક જ કુટુંબમાંથી આટલા બધા જણે વેરાગ લેવો પડે ?’
***
પરભા ગોરે ગામમાં આવીને કોઈ જાણે નહિ એ રીતે હાદા પટેલને વાત કરેલી :
‘માંડણિયે કેવરાવ્યું છે કે મારી કાંઈ ફકર્ય કરશો મા. સારે વરસે મારાં ખેતરવાડી સંભાળજો, ને મારા ખોરડાનો વેમ રાખજો. હું મારું ટાણું થયે પાછો ગામમાં આવીશ—’
‘પણ ઈ ભગવાં પે’રીને બેઠો છે, ઈ પાછાં ઉતારશે કે નહિ ?’ હાદા પટેલે ચિંતાતુર અવાજે પરભા ગેારને પૂછેલું.
‘ઈ તો ભગવાન જાણે. પણ ગામમાં તમારા સિવાય બીજા કોઈને જાણ ન થાય એમ કહીને કે’વરાવ્યું છ ખરું, કે મારી