પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
લીલુડી ધરતી-૨
 

 સવારમાં ઊઠીને એ ટહેલ નાખવા નીકળી પડતો. બરોબર ગણીને સાત ડગલાં ચાલીને એ થોભી જતો અને ટહેલની વિગતો અને પોતાની આપવીતી અપદ્યાગદ્ય જેવા લયમાં લલકારી દેતો, અને વળી આગળ વધતો. એની ટહેલનો મુખ્ય મુદ્દો અને ટૂંક સાર આ પ્રમાણે હતો :

પોતે યજમાનવૃત્તિ પર નભનાર ગરીબ બ્રાહ્મણ હતો. ઘરમાં ઘેરો એક છોકરાં હતાં, મોટી દીકરી પરણાવેલ હતી. થોડા દિવસ પહેલાં પુત્રી આણું વાળીને પિયર આવેલી અને સાથે સાસરિયાંના ઘરનું ‘સૂંડલોએક’ સોનું લેતી આવેલી. ભૂદેવનું ગામ એટલે લોંટોઝોંટો કરીને જીવનારા કાંટિયા વરણનું ગામ. કોઈક જાણભેદુએ ગામની દીકરીના આ દાગીના ઉપર નજર રાખી. શ્રાદ્ધના દિવસોમાં ભૂદેવ યજમાનને ગામ સરામણાં કરાવવા ગયા એનો લાભ લઈને ઘરમાં ખાતર પાડ્યું ને આણાત દીકરીના ઘરેણાની અકબંધ ટ્રંક ઉઠાવી ગયો ! ભૂદેવે ગામના મહાજન સમક્ષ ધા નાખી, ઉપવાસ–અનશન કર્યા, પણ પેલા જાકુબના દિલમાં દયા આવી નહિ ને કશો માલ પાછો મળ્યો જ નહિ. બીજી બાજુ પુત્રીનાં સાસરિયાંએ ગરીબ ભૂદેવ ઉપર એવું આળ ચડાવ્યું કે આ ખાતર પડ્યાની વાત તો તર્કટ છે, ને તમે જ દીકરીને આણું વાળવાને બહાને તેડાવીને બધા દાગીના ઓળવી ગયા છો. સાંભળીને ભૂદેવને કાળજે ઘા લાગ્યો અને આ આરોપથી મુક્ત થવા માટે એમણે ચોરાયેલાં ઘરેણાં ઘડાવી આપવાનો નિર્ણય કર્યો, અને એના તરણોપાય તરીકે છેવટે દયાધરમી માણસો સમક્ષ ટહેલ નાખવા નીકળી પડ્યા.

ટહેલિયો ગામની શેરીએ શેરીએ, ડેલીએ ડેલીએ અને ઉંબરે ઉંબરે ફરે છે, સાત સાત ડગલે, ચાવી આપી રાખેલા થાળીવાજાની ઢબે, આખી ય ટહેલનો ઇતિહાસ યંત્રવત ગગડાવી જાય છે, પણ કોઈ દયાળુના દિલમાં રામ વસતા નથી. ઊલટાનું, સમજુબા જેવાં સંશયાત્માઓને તો વહેમ પણ આવે છે; આ માણસ ખરેખર