ખોટે મને જેણે ખેડ્યું રે કીધી
ખરે બપોરે નાસે રે...
આધાં જઈને પાછાં ફરશે
એનાં કણ કવાયે જાશે રે...
વીરા આવ્યો આષાઢો…
દેવે દીધેલા જ્ઞાનદીપસમી વીજળીનો ઝબકારો થયો અને આખી ખડકી, ઓસરી ને ઓરડામાં અજવાળાં ઝોકાર થઈ ગયાં…
હાદા પટેલ ક્ષણભર તો સાથીની ગેરહાજરીની ચિંતા ભૂલી ગયા. ઊજમ એક બળદની ખોટ પણ વીસરી ગઈ. સંતુના ચિત્તમાંથી ભાવિની ચિંતા ભૂસાઈ ગઈ.
ઘેરે રાગે વરસતા વરસાદના અવાજમાંથી જાણે કે ગળાઈ ગળાઈને ગરવા ભજનના શબ્દો સંભળાતા હતા :
વિગત નવ જાણે ને બીજ લઈ લાવે
કાઢી કઢારો ચાવે રે…
ધાઈધૂતીને કાંઈક નર લાવે
એની આગમ ખાધુંમાં જાશે રે…
વીરા આવ્યો આષાઢો…
હાદા પટેલ આ બોલનો વાચ્યાર્થ વિચારી રહ્યા અને પછી છેલ્લાં બે વર્ષમાં બનેલી વસમી ઘટનાઓના સંદર્ભમાં એનો ભાવાર્થ ઘટાવી રહ્યા. સદ્ અને અસદ્નાં બળોને સાંપડી રહેલો કવિન્યાય વિચારી રહ્યા. ભૂતેશ્વરમાં બેઠેલા ભજનિકો એનું સમાપન કરી રહ્યા :
વાવ્યા તણો જે નર વિચાર જાણે
એ તો મૂઢ મેલે લઈ ટાણે રે…
ભાણ ભણે નર નીપજ્યાં ભલાં
એ તો મુઠાભરે લઈ માણે રે…
વીરા આવ્યો આષાઢો,
વિખિયાનાં રૂખ વાઢો…