પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન અને મૃત્યુ
૨૮૯
 

 ‘અમારે ગોવાળિયાને તે વળી અક્તા કેવા ? પણ આજે ઓઝત બે કાંઠે છે. ઠીકઠીકનાં ઘોડાપૂર ઘૂઘવે છે. મેઘો મન મેલીને વરસ્યો છે. બે વરહનું સામટું સાટું વાળ્યું… આપણી સીમ કરતાં ય ઉપરવાસ વધારે પાણી પડ્યું લાગે છે. ઉજમભાભી ! આમાં તીખારો મેલજો જરાક.’ કહીને પોતાની ચૂંગી માટે દેવતા માગતાં માગતાં ધનિયો વાતે વળગ્યો, અને આગલી રાતની મૂશળધાર વર્ષોએ સરજેલી નાનીસરખી હોનારતનો અહેવાલ આપવા લાગ્યો,

‘તડબૂચના હંધાય વાડા તણાઈ ગ્યા… ભગતની વાડી સંચોડી પાણી હેઠાળે છે… આપણા વેજલા રબારીનાં ગાડરાં તણાઈ ગ્યાં… ટપુડા વાણંદનું ખોરડું નમી પડ્યું… ભાણા ખોજાની ડેલી લગણ પાણી ડેકાં દિયે છે... શાપરઢાળો સારી પટ વરસ્યો છ... કિંયે છ કે ઉઘાડ નીકળે ઈ ભેગાં જ વાવણાં... ઉજમભાભી ! આમાં એક તીખારો... આ ટાઢોડામાં મારી ચૂંગી ને ગડાકુ બે ય હવાઈ ગ્યાં... રામભરોહામાં ય ચૂલો નથી સળગતો... કોલસા જ સંચોડા હવાઈ ગ્યા... ઉજમભાભી ! સાંભળ્યું ? ઓઘડિયો ગાંડો આ વરસાદમાં તણાતા તણાતા માંડ બચ્યો—’

અત્યાર સુધી ધનિયાએ નિવેદિત કરેલા સમાચારોમાં એકમાત્ર ઓઘડના સમાચારમાં જ ઊજમને કાંઈ સમાચાર જેવું લાગ્યું તેથી એણે એમાં રસ બતાવ્યો.

‘શું થયું વળી ઓઘડિયાને ?’

‘ગાંડા માણસને શું ગમ ? ઈ તો હમણાંને ભૂતસરને ઓવારે જ પડ્યો રે’તો, તી આટલો વરસાદ વરસ્યો તો ય ઊઠ્યો જ નહિ. એક કોર્ય ગાંડો થઈને મેઘ વરસે ને બીજી કોર્ય ગાડો ઓઘડિયો તાળિયું પાડીને ખિખિયાટા કરે. ભૂતેસરમાંથી મહન્તે કેટલી ય દાણ એને કીધું કે એલા ઓઘડિયા, ઓવારેથી અંદર આવતો રે’. પણ અતીતનું કે’વું માને તો તો ઓઘડિયો શેનો ? એક કોર્ય ભૂતેસરમાં