પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
લીલુડી ધરતી-૨
 

 ‘ગામને મોઢે કાંઈ ગળણું ન બંધાય. ઈ તો બે ગાઉ આઘું હાલે ને બે ગાઉ પાછું હાલે.’

‘પણ માડી ! આ તો અજવાળીકાકી જેવું મઢેલું માણહ બોલ્યું.’ ઊજમ કહેતી હતી. ‘ગામમાં ગોકીરો થઈ ગ્યો—’

'ગામને તો પારકી વાત સાકરના ગાંગડા જેવી મીઠી લાગે. ઈ તો અજવાળીકાકીને ય પગ હેઠળ રેલો આવશે તંયે ખબર પડશે—’

ભૂતેશ્વરથી પાછા ફરતાં હરખ અને અજવાળી કાકી વચ્ચે થઈ ગયેલી ગાળાગાળી અને મારામારાની વાત સાંભળીને ઊજમ ઉશ્કેરાઈ ગઈ હતી.

હાદા ઠુમર આજે ભૂતેશ્વરની વાડીએ ભજનમાં બેઠા હોવાથી દેરાણી–જેઠાણી ઘરમાં એકલાં હતાં. દોણે મેળવણ નખાઈ ગયા પછી, અને કાબરીને કડબ નિરાઈ ગયા પછી પણ મોડે સુધી બંને વચ્ચે ધીમી ધીમી ચડભડ ચાલુ રહી :

‘મારાથી હવે આ ગામમાં ઢેઢફજેતા નથી ખમાતા.’ ઊજમ કહેતી હતી.

‘તમને મારામાં વશવા છે કે ગામમાં ?’ સંતુ પૂછતી હતી.

‘આ કળજગમાં વશવા તો કોનો કરાય ? સગા પેટનાં જણ્યાંનો ય વશવા કરવા જેવો જમાનો નથી. નથુકાકાની જડી માબાપ ઉપર કાળી ટીલી ચોંટાડશે એવું કોણે ધાર્યું’તું ?’

‘એટલે તમને મારા વેણમાં વશવા નથી, પણ ગામનાં માણહ બોલે ઈ સાચું માનો છો ?’

‘બાપુ ! હંધુ ય માનવું પડે. વાણી બોલે જાણી—’

‘વાણી બોલે જાણી !’ સંતુએ આકરે અવાજે પૂછ્યું. ‘ઈ બોલનારાં હંધાં ય કેમ કરીને જાણી આવ્યાં ? ઈ કાંઈ ભગવાન થઈ આવ્યાં છે ? મારો ને મારા ધણીનો વેવાર જાણનારાં ઈ છે કોણ ?’

ઊજમ પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો. એ ઉત્તર ટાળવા જ