પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ચોથું

મારું જીવતર લાજે !

અંબાભવાનીમાં ધિંગાણા જેવું થઈ ગયું છે એમ ઝમકુને મોઢેથી સાંભળ્યા પછી ઊજમે ખડકીનાં કમાડ આડે સાંબેલું ઠસાવીને ભોગળ ભીડી અને દેરાણી–જેઠાણી એકકાન બનીને દૂરથી સંભળાતો દેકારો સાંભળી રહ્યાં.

ગોકીરાનો અવાજ ભૂતેશ્વરની વાડી સુધી પહોંચતાં મંદિરના પ્રાંગણમાં જામેલાં ભજનો એકાએક અટકી ગયાં. દોકડ ઉપર થાપી પડતી બંધ થઈ ગઈ. મંજીરાંનો રણકાર શમી ગયો. ‘નકળંકી’ અવતારના વર્ણનની રસજમાવટ કરી રહેલું ભજન અરધી પંક્તિએ જ કપાઈ ગયું. રાબેતા મુજબ તો સવારોસવાર રમઝટ બોલાવનારી ભજનમંડળીમાં એકાએક સોપો પડી ગયો.

‘રઘા મારા’જના માથામાં લોઈની ફૂટ્ય થઈ.’

‘ગિરજાને ભાઠાંવાળી કરીને હાડકાં રંગી નાખ્યાં—’

‘હૉટલના અરીસેઅરીસાના ભુક્કા બોલાવી નાખ્યા—’

અણધાર્યા ઊઠેલા ગોકીરા વિષેની આટલી બાતમી પરથી સહુ ભજનિકો અને શ્રોતાઓ હૉટેલની દિશા તરફ દોડ્યા. મોખરે અતીત ઈશ્વરગિરિ વચ્ચે ગામના જુવાનિઓ અને છેવાડે હાદા ઠુમર જેવા ડોસાડગરાઓનું હાલરુ ‘કોણ છે ઈ બેમાથાળાં ?’ ‘ભામણના દીકરા ઉપર હાથ ઉગામવાવાળા ઈ પાણીઆળીના છે કોણ ?’ કરતું કરતું અંબાભવાની પર જઈ પહોંચ્યું, ત્યારે દેકારો શમી ગયો હતો. તોફાનીઓ પોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા હતા, અને તીરે ઊભાં