શ્રાવણનો એ છેલ્લો સોમવાર નથુકાકા માટે ખતરનાક નીવડ્યો. પોતે કીડિયારું પૂરવા ગયેલા અને કેટલાક ડોસાડગરાઓ સાથે ગામેગપાટે ચડી ગયેલા. પોતે સોમવાર કર્યો હોવાથી સાંજના વાળુની તો ચિંતા જ નહોતી, તેથી મોડામોડા ઘેર આવ્યા ત્યારે ઊંબરામાં પગ મૂકતાં જ અજવાળીકાકીએ એમને પોંખવા માંડ્યા :
‘તમતમારે ફુલેકે ફર્યા કરો ! વાંહેથી ઘરવાળાંવના મર ઘડાલાડવા થઈ જાય.’
પતિએ ડઘાઈ જઈને પૂછગાછ કરવા માંડી, પણ એમ સહેલાઇથી ઘટસ્ફોટ કરી નાખે તો તો એ અજવાળીકાકી શાનાં ?
‘તમતમારે કીડિયારાં પૂરીપૂરીને આવતા ભવનાં પુન્ય બાંધ્યા. કરો; વાંહેથી ઘરનાં માણહનો મર બોરકુટ્ટો થઈ જાય—’
‘પણ શું છે ?’
‘તમારે શું ? તમે તો મોટે પાઘડે ગામમાં પહોળા થઈને ફર્યા કરો. વાંહે ઓલ્યા વેરી હંધાય મર ઘરની વાતું વાવલ્યા કરે—’
‘કોણ છે ઈ વેરી ?’ પતિએ ક્રુદ્ધ અવાજે પૂછ્યું, ‘કોણ છે ઈ વાતુનાં વાવલનારાં ?’
પણ અજવાળીકાકી એમ ઝટ દેતાંકને નામ ભણી દઈને આ કુથલીકાપડમાં રહેલું જિજ્ઞાસાનું તત્ત્વ સાવ એળે જવા દે એમ નહોતાં. આ નાટકમાં અત્યાર સુધી તેઓ પતિ સમક્ષ માત્ર વાચિક અભિનય જ કરી રહ્યાં હતાં; એમાં હવે મજાનો નરવે સાદે ઠૂઠવો