પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
માબાપોને
 

આપણો જ સ્વાર્થ છે, એ વાત તો તમને સમજાવવાની પણ જરૂર નથી. પણ કેવી કેવી તરેહની સ્વચ્છતા રાખવી જોઈએ તે હું તમને કહ્યું :

સ્વચ્છતા એટલે ઘણા દહાડાથી નહિ ધોયેલા માથામાં તેલ નાખીને ઓળીને માત્ર વાળ ઠાવકા કરવા તે નહિ; નખમાં મેલ ભર્યો હોય અને હાથ સાબુથી ધોવા તે નહિ: કાનમાં, આંખમાં, નાકમાં મેલ ને ચીપડાં રહી જાય અને સાબુ-પાઉડરથી મોઢું ધોયું કહેવાય તે પણ સ્વચ્છતા નથી. તમે કાળજીથી જોશો તો તમને માલમ પડશે કે એવી જાતની અસ્વચ્છતા બાળકોમાં ઘણી રહે છે. કાનમાં મેલ રહેવાથી બાળકોના કાન વહેવા લાગે છે, અને તે બહેરાં બની જાય છે. આજકાલ કાનમાં પરુ વહે એવાં ઘણાં બાળકો જોવામાં આવે છે. આંખમાં ચીપડા રહી જાય તો ખીલ ને ફૂલાં પડે છે. માટે આંખ, કાન, નાક, નખ, મોટું, દાંત એ બધું દરરોજ બરાબર તપાસીને બાળકને સ્વચ્છ કરવું. નહિ તો ઉપર ઉપરથી તમે બાળકનું મોઢું ધોશો તો અંદર ઘણો મેલ રહી જશે. માટે દરેક અવયવ, દરેક અંગ બરાબર સાફ રાખતાં શીખો. તેમ કરવાથી તેમની તંદુરસ્તી ઘણી સુધરી જશે. બાળકોને આવી રીતે સ્વચ્છ રહેવાની ટેવ પાડી દેવાની જરૂર છે. તમે તમારા ઘરમાં અરીસો રાખીને તેમને આંખ, કાન, નાક, દાંત વગેરેમાં જે મેલ હોય તે બતાવો તો તેઓ પછી જ્યારે જ્યારે જ્યાં જ્યાં મેલ દેખશે ત્યાંથી તરત જ કાઢી નાખવા અને સાફ રહેવા ટેવાઈ જશે. અમારા બાલમંદિરમાં અમે અરીસા, કાંસકીઓ, પાણીનાં કૂંડાં અને ટુવાલો એ બધું બાળકો પોતાની મેળે વાપરી શકે તેમ રાખીએ છીએ; અને તેઓ ત્યાં હોંશે હોંશે તેનો ઉપયોગ કરીને પોતાની મેળે જ સાફ થાય છે. તમે જો બાલમંદિર જોવા સારુ આવ્યાં હશો તો તે નજરે જ જોયું હશે.