પૃષ્ઠ:Mabapone.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
માબાપોને
 


રાખો; ગંદકી અને ક્ષય રોગનો સાથે જ વિચાર રાખો. નિર્ભયતા એ શિક્ષણનો પ્રાણ છે, એ સૂત્ર તમારા ઘરમાં ટાંગી જ રાખજો. નાનાં બાળકો એટલે ગેરહાજરી ચાલે તે વિચાર કાઢી નાંખો; તેને હંમેશાં નિશાળે આવવાની સગવડ કરી આપો; માત્ર તેની મરજી વિરુદ્ધ ન મોકલો. નાતમાં જમવા જવાના કારણે કે કોઈની અઘરણી પંચમાસીને કારણે કે નવો ભાઈ આવ્યો છે માટે દસ દહાડા બાળકને ઘેર રોકી ન રાખો. આપે આપના બાળકને ઘરમાં શીખવવું નહિ; એક મ્યાનમાં બે તલવાર નહિ ચાલે. અમારી રીત જુદી; આપની રીત જુદી. જ્યારે આપનો વિચાર એને ઘેર ભણાવવાનો થાય ત્યારે સુખેથી ઉઠાડી લેજો. જો આપ આપનું વૈદું અને વકીલાત આપ પોતે વૈદ્ય અને વકીલ ન હો છતાં જાતે જ કરી શકતાં હો, તો જ આપ શિક્ષક ન હો છતાં આપના બાળકને ભણાવવાની ધૃષ્ટતા કરી શકો ! અમારા હાથમાં નાવ મૂક્યા પછી નિશ્ચિત રહેવા જેટલી શ્રદ્ધા આપનામાં નહિ હોય તો આપનું નાવડું ડૂબશે. બે ઘોડે નહિ ચડતા, નહિતર બંને બાજુથી લટકશો. આપ આપના બાળકને મંદિરમાં બેસાડી થોડા જ દિવસોમાં પૂછશો કે શું ભણ્યું, તો ઝાડને રોપ્યા પછી થોડા જ દિવસમાં તેને ખેંચી કાઢી તેનું મૂળ કેટલું વધ્યું છે તે જોવા બરાબર થશે. તમારી શ્રદ્ધાથી તમે તમારા પ્રયત્નના વૃક્ષને પોષશો તો જ સુંદર ફળો આવશે. અસંતોષથી દૂર રહેજો; સ્વાર્થી હિતેચ્છુઓને ઓળખી કાઢજો. તમારામાં જો ખરી શ્રદ્ધા હશે તો અમે જે બીજાં બાળકોમાં જોયું છે તે આપણે આ તમારા બાળકમાં પણ જોવા ભાગ્યશાળી થઈશું. તમારી પાસેથી અમે બીજું કશું નથી માગતા; એક જ વસ્તુ માગીએ છીએ અને તે અડગ શ્રદ્ધા. ઘરનાં બૈરાંઓ થાકી જશે, બીજી શાળાના માસ્તરો