પૃષ્ઠ:Mabapone.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
માબાપોને
 


અહીં બાલમંદિરમાં બાળકોને કેળવવાનો અમારો પ્રયાસ તો માત્ર બે કલાકનો છે, અને તમારા ઘરમાં બાવીશ કલાકનો છે; તેમાં જો વિરોધ હોય તો અમે કંઈ જ કરી શકીએ નહિ. પણ જો તમે અમારા કામને અનુકૂળ હો, અને તેવી જાતની ઘેર પણ તમારાં બાળકોની સાથે રીત રાખો, તો આ કાર્યમાં જરૂર ફતેહ થાય.

પોતાનું બાળક સંપૂર્ણ સ્વચ્છ રહે તેની પૂરી સંભાળ માવતરોએ લેવી જોઈએ. પણ કેટલાંક બાળકો અહીં હજી ઘેરથી અસ્વચ્છ હાલતમાં આવે છે, તેથી અમારી કામવાળી બાઈ પાસે તેમને સાફ કરાવીએ છીએ. બાળકની સ્વચ્છતામાં માતાઓએ તેમનાં આંખ દાંત બરાબર સાફ છે કે નહિ, કાનમાં મેલ પરુ છે કે કેમ, માથાના વાળમાં ખોડો છે કે નહિ, એ બધું જોઈને દરકારથી સ્વચ્છ કરવું જોઈએ. તેમનાં કપડાં સાફ, બટન કડીવાળાં અને ફાટ્યાં હોય તો સાંધેલાં રાખવાં જોઈએ; એ બધું માતાઓએ સંભાળથી જોવું જોઈએ. તેમના નખ પણ બરાબર ઉતારેલા જોઈએ. આ બધી બાબતમાં જો કાંઈ ખામી હોય તો તે બાળકોનો દોષ નથી પણ માબાપનો દોષ છે.

બીજું, બાળકો તો આપણે ત્યાં પ્રભુએ મોકલેલા દેવના દૂતો છે. એ બધા નાના નાના દેવો છે. માટે આપણું વર્તન તેમના તરફ માનભર્યું અને પ્રેમાળ જોઈએ. ઘરેણાં પહેરાવવામાં ખરો પ્રેમ નથી; તેમ જ સારું સારું ખવરાવવામાં કે કીમતી વસ્ત્રો પહેરાવવામાં ખરો પ્રેમ રહેલો નથી. પણ તેમને રુચતું કરવા દેવું તથા સગવડ કરી આપવી તેમાં ખરો પ્રેમ રહેલો છે. તેઓ જે ઇચ્છે તે કરવા દેવામાં વાંધો ન લેવો જોઈએ.

કોઈ મોટું માણસ આપણને મળવા આવે ત્યારે આપણે