પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુર્ગાબહેન કહે છે કે પરણીને સુરતથી દિહેણ જતાં માફામાં અમારી સાથે બે ભાભીઓ બેઠેલી હતી. મહાદેવ બોલવામાં અને વાર્તાવિનોદ કરવામાં પહેલેથી જ ચબરાક હતા. એટલે એમણે આખે રસ્તે ભાભીઓ સાથે ઠઠ્ઠામશ્કરી કરેલાં. એ સાંભળીને દુર્ગાબહેનને મનમાં થતું કે આવી વાતો શું કરતા હશે ? ભાભીઓ કહે: “નહોતા પરણવાના ને કેમ પરણ્યા ? ચોરીમાંથી ઊઠીને નાસી જવાના હતા ને કશું બોલ્યા ચાલ્યા વિના ફેરા તો ફર્યા ?” મહાદેવભાઈ કહે, “પણ મને વહુ ના ગમે તો હું નહોતો પરણવાનો ને ? આ તો મને ગમી ગઈ એટલે શાનો ના કહું કે ઊઠી જાઉં ?” આવા વિનોદો ઉપરાંત આખે રસ્તે ભાભીઓની તરેહતરેહની મશ્કરીઓ પણ કરે. દુર્ગાબહેન શ્રેયઃસાધક વર્ગના ચોખલિયા વાતાવરણમાં ઊછરેલા એટલે આવા નિર્દોષ પણ ગ્રામીણ લાગતા વિનોદમાં એમને અસંસ્કારિતા અને અસભ્યતા લાગી. પછી જ્યારે ઘર આગળ માફો પહોંચ્યો અને ઊતરવાનું કહ્યું ત્યારે માટીનું ખોરડું જોઈને પહેલાં તો આ ઘર આપણું હશે જ નહીં, આ તો કોઈ દૂબળા કે કોળીનાં ઝૂંપડાં હશે એમ થયેલું. આ પ્રથમ છાપ છે. પછી તો જે રીતે બધાં સાસરિયાં એમની સાથે વર્ત્યાં અને ઘરના સંસ્કારનો પણ અનુભવ થયો એટલે એ છાપ તરત ભૂંસાઈ ગઈ.

૨૪