પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રમતગમતનો શોખ નહીં

અહીં એમના જીવનની એક ખાસ હકીકત નોંધી લઉં. વૈકુંઠભાઈ એ લખ્યું છે કે રમતગમતનો ચડસ મેં એમનામાં જોયો ન હતો. ચડસ તો શું, એક પણ રમત – બેઠી કે મેદાની – એનો એમને શોખ ન હતો અને આવડતી પણ નહીં. પાનાં ન રમ્યો હોય એવો ભાગ્યે જ કોઈ માણસ મળી આવે. પણ એ કદી પાનાં પણ રમ્યા નહોતા. દોડવાકૂદવાની કે ક્રિકેટની કે એવી બીજી કસરતી રમતો પણ તેઓ રમ્યા ન હતા. મૅચો કે સ્પૉર્ટ્સ જોવા જવાનું પણ તેમને કદી મન થતું નહીં. અમદાવાદમાં સાધારણ રીતે બધા વકીલો ગુજરાત ક્લબના મેમ્બર થાય છે અને ત્યાં પાનાં, ચેસ, બિલિયર્ડ, ટેનિસ વગેરે રમતો રમે છે. મહાદેવ વકીલાત માટે અમદાવાદમાં વરસ ઉપર રહ્યા હશે પણ ગુજરાત ક્લબના મેમ્બર નહીં થયેલા. તેને બદલે ભદ્ર પાસે હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે તેના મેમ્બર થયેલા. એની લાઈબ્રેરીમાં ચોપડીઓ જુનવાણી વધારે હતી. એનું વાર્ષિક બજેટ પણ નાનું હતું. એટલામાંથી પણ મહાદેવે મેમ્બર થયા પછી સારી સારી ચોપડીઓની ભલામણ કરીને મંગાવરાવેલી. એ અમદાવાદ રહ્યા તે અરસામાં મેં પણ ક્લબમાં જવાનું બહું ઓછું કરી નાખેલું. કોર્ટમાંથી અમે હીમાભાઈ ઈન્સ્ટિટ્યૂટમાં જઈએ અને ત્યાંથી ફરવા જઈએ.

૩૦