પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થાય જ નહીં, કારણ એ તો કર્મનો અધિકારી છે, ફળનો કદી નહીં. અને જેનો અધિકાર નથી તેનો વિચાર શો કરવો ? છતાં મારો અભિપ્રાય છે કે દેહ છતાં પૂર્ણ સાક્ષાત્કાર અસંભવિત છે. આપણે ઠેઠ એની સમીપ પહોંચી શકીએ ખરા. પણ દેહની હસ્તી હોવાથી દ્વારપ્રવેશ અસંભવિત પ્રતીત થાય છે. ઈશ્વરના વિરહનું દુઃખ તો આપણને સદૈવ રહેવું જ જોઈ એ. જો ન રહે તો પ્રયત્ન બંધ થઈ જશે અથવા શિથિલ થઈ જશે. વિરહદુ:ખનું પરિણામ નિરાશા નહીં', આશા હોવું જોઈએ; મંદતા નહીં', અધિકાધિક ઉદ્યમ હોવું જોઈએ. પ્રયત્ન અલ્પ ભલે હોય તોપણ તે કદી વ્યર્થ જતો નથી એ ભગવાનનો કોલ છે. આ કારણથી આપણું વિરહદુ:ખ પણ આનંદદાયી થઈ પડવું જોઈએ. કારણ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે કોઈ ને કોઈ રોજ સાક્ષાત્કાર થવો જ જોઈએ.”

२३-३-'३२ ગયા સોમવારે લખેલા કાગળમાંનો એક નોંધવાની રહી ગયો. એ કાગળમાં બાપુએ એક નવો વિચાર મૂકી દીધો હતો. હિંદુસ્તાન સૌથી વધારે વહાલો દેશ કેમ છે તેનું કારણ એ નથી કે એ મારો છે, પણ એનું કારણ એ કે એમાં સાથી વધારે સારાપણું ભાસ્યું છે. એના ગૌરવ છતાં એ ગુલામ રહ્યો છે એ વાત સાચી, પણ એ પણ એનું સારાપણું છે. બીજા કોઈ દેશને ગુલામ બનાવવાના કરતાં એ ગુલામ રહ્યો છે, અને જાલિમ અને ગુલામ વચ્ચે પસંદગી હોય તો ગુલામની દશા વધારે પસંદ કરવા જેવી છે. આ આખો વિચાર અહિંસામાંથી ફલિત થાય છે એ સ્પષ્ટ છે.

બીજો અહિંસાનો નમૂનો લો. જ્યારે વલ્લભભાઈ વડાની ઠેકડી કરે ત્યારે બાપુ કહે.: "ના વલ્લભભાઈ, તમે અન્યાય કરો છો, એનો દોષ નથી, એનાથી થાય એટલું બધું કરે છે. " પણ આજનો કિસ્સો એ ભારે કસોટીનો થઈ ચૂકયો. બાપુએ જે દિવસે કેદીઓને મળવાની રજા આવી ' તે દિવસે સ્ત્રીઓને મળવાની માગણી કરેલી. વડાં ભડકેલા. આખરે કાગળ લખવાની પરવાનગી પેાતાના વડા પાસે મેળવી આવેલા. એ કાગળ બાપુએ લખ્યો, છતાં એમણે એ આપવાનું ભૂલી ગયો છું એમ જણાવેલું. એ ભૂલેલા નહોતા, પણ ત્યાં અનશન થયું હતું, એટલે એ ત્યાં ગયા નહોતા. એવામાં અચાનક ગંગાબહેન ઝવેરી મુલાકાતે આવ્યાં. એ નાની બહેનને મળીને આવ્યાં હતાં. એમની પાસેથી અનશનની વધારે ખબર મળી. વડા ત્યાં જવાની ના પાડે છે કારણ એ લોકો અનશન છોડે ત્યાર પછી જઈ

૩૧