પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

महान साध्वीओ


साध्वी राबेया


હિંદુ સન્નારીઓમાં ગાર્ગી, મીરાંબાઇ, કરમેતીબાઇ આદિ સાધ્વીઓ અને ખ્રિસ્તી રમણીઓમાં સેઇન્ટ સિસીલિયા, મેડેમ ગેંયો વગેરે જે પ્રમાણે ધર્મજીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરીને જગતના ઇતિહાસમાં સ્થાયી નામ રાખી ગઇ છે તથા ભવિષ્યની પ્રજાદ્વારા શ્રદ્ધા અને ભક્તિ પ્રાપ્ત કરતી રહી છે; તેજ પ્રમાણે મુસલમાન રમણીઓમાં રાબેયા, જુલેખા, જુબેદા, ઝેબઉન્‌નિસા આદિ બુદ્ધિશાળી નારીઓએ પોતાના દૃષ્ટાંતદ્વારા ઘણાં ભક્તહૃદયોને પીગળાવી નાખ્યાં છે.

મુસલમાનોમાં મુખ્ય સંપ્રદાય બેજ છે. શિયા અને સુન્નિ. પરંતુ એ બે સંપ્રદાયોની શાખા-પ્રશાખાઓ હિંદુ ધર્મની પેઠે અસંખ્ય છે. એ બધી શાખાઓમાં સૂફી સંપ્રદાય મુખ્ય અને પ્રસિદ્ધ છે. એ સંપ્રદાયમાં દાખલ થઇને અનેક ભક્ત તથા જ્ઞાનીઓએ તેની ઉજ્જ્વલતા અને કીર્તિમાં જે વધારો કર્યો છે, તે જગતના કોઈ પણ ધર્મ કરતાં ઓછો નથી, વૈષ્ણવ ધર્મ સાથે એ ધર્મની પૂરતી સરખામણી થઇ શકે છે.

સૂફી પંથની બે [૧]શાખાઓ છે : (૧) મુહત કલ્લમ – અર્થાત્ સંરક્ષક સંપ્રદાય, કે જે એ બહારનાં ક્રિયાકર્મો તથા અનુષ્ઠાનના પક્ષપાતી છે; અને (૨) સૂફી –અર્થાત્ જેઓ આત્મનિગ્રહ અને દેહદમનદ્વારા મનઃસંયમ કરવાને યત્ન કરે છે.[૨]


  1. ‘ગિયાસ ઉલલુગાત’ નામના કોષમાં ત્રણ સંપ્રદયાનો ઉલ્લેખ છે.
  2. કાઝી નુરૂલ્લાહ સાહેબે લખેલા શિયા સંપ્રદાયને લગતા ‘મજલિસ-ઉલ-સેમિનિન’ નામના ગ્રંથને આધારે બીલ સાહેબની ઓરિએન્ટલ બાયોગ્રાફીકલ ડિક્ષનેરી જુઓ.