પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

“પિતાજી ! માફ કરો. તમારી ઈચ્છા એજ મારી ઈચ્છા; પણ શરીરના એક અવયવના દોષ માટે બીજા અવયવને શિક્ષા કરવી એ અઘટિત છે. કદાચ તે પાપી હશે. વિચારો મગજમાં ઉદ્ભવે છે, તેથી તેનું મગજ પાપી છે; પણ તેનું ઉદર તો પાપી નથી ! તેણે કોઈનું બુરું કર્યું નથી. મહેરબાની કરીને—”

“વ્યર્થ બકબકાટ નહિ કર. તારી લવરી બંધ રાખ.”

એવામાં અમારામાંથી એક આધેડ મિત્ર બોલ્યો:- “જોન કહે છે તે સાચું છે. માણસનું મસ્તકજ બધાં કારસ્તાન રચે છે, તેની શું કોઈ ના પાડશે ? માટે માણસનું મસ્તકજ તે કામ માટે જવાબદાર છે. કોઈના પગ ઉપર ચીપીઓ પડે, અને તેનાથી તે પુરુષને ઇજા થાય, તો શું તે ચીપીઆને શિક્ષા પાત્ર લેખવો ? કારણ કે તેનામાં બુદ્ધિ નથી; તર્ક નથી; તે વિચારી શકતો નથી. જેમાં વિચાર કરવાની શક્તિ નથી, તેને કેવી રીતે શિક્ષાપાત્ર ગણી શકાય ? પેટનું પણ એમજ છે. શું માણસનું પેટ ખૂનનો વિચાર કરે છે ? પાપનો વિચાર કરે છે ? કોઇ વસ્તુને તે આગ લગાડી શકે છે ? અથવા શું તે કેાઈ અપરાધમાં સ્વતંત્ર રહી સહાય આપી શકે છે ? નહિ. આથી સપષ્ટ છે કે, માણસ ગમે તેવા બદમાસ હોય, તો પણ તેનું ઉદર તો શિક્ષાપાત્ર નથીજ. ”

અમારો મિત્ર સારો વક્તા હતો, અને તેને મોંઢેથી આવા શબ્દો સાંભળી અમારા મન ઉપર બહુજ અસર થઈ. વક્તાપણુ જાદૂસમાન છે, એમાં કોઇજ શંકા નથી. જોનના પિતાએ સંમતિ દર્શાવી કહ્યું કે “જોન ! તેને તે અન્ન આપ.”

જોન ગુંચવાઈ; શું બોલવું, તેની તેને સમજણ પડી નહિ, તેથી તે ચુપ રહી. તેણે તે માણસને ક્યારનુંય ખાવાનું આપ્યું હતું અને તે પણ ક્યારનો ખાઈ રહ્યો હતો.

“જોન, જોન ! હું કહું ત્યાંસુધી તું કેમ થોભી નહિ ?” જોનનો પિતા બોલ્યો.

“કારણ કે એ બહુ ભૂખ્યો હતો તેથી વાર લગાડવામાં માલ નહોતો, અને વળી તમે કયા ઠરાવ ઉપર આવો એ કોને ખબર?” જોન બાળક હતી, પણ તેની બુદ્ધિ કેટલી બધી વૃદ્ધ હતી !

તે માણસ બદમાસ નહોતો. તેની આવી સ્થિતિ માત્ર તેના કમનસીબનેજ લીધે થઈ હતી; અને કોઈમાણસ કમનસીબ હોય, તેમાં તેનો દોષ નથી જ. તેણે લશ્કરમાં ઘણાં વર્ષ નોકરી કરી હતી,