પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક


“ત્યારે મને દેવાજ્ઞા નહોતી. હવે તને સઘળું કહીશ, અને એ પણ માત્ર તનેજ. તારે એ વાત ગુપ્ત રાખવી પડશે. આ આકૃતિ મને ઘણી વાર માત્ર દેખાતી; પણ આજે તો મને તેના ઉ ેશ પણ જણાવવામાં આવ્યો. દેવદૂતોને લઈને મારી પાસે મહાત્માઓ પણ આવે છે, અને મારી સાથે વાત પણ કરે છે.”

“તને શું કહે છે ?”

“ફ્રાન્સ સંબંધી બધું દુઃખ, દુઃખ અને દુઃખ; એ સિવાય કંઇ નહિ.”

“તેઓએ કંઈ ભવિષ્ય ભાખ્યું છે ?”

“હા, મને પહેલેથીજ બધી ખબર છે. તેથી જ હું બહુ ગંભીર રહેતી – જો કે આશા અમર છેજ. વળી ફ્રાન્સને સ્વતંત્ર કોણ કરશે, એ પણ હું જાણું છું – આજે મને બધી બાતમી મળી છે.”

જ્યારે જોને આ કહ્યું, ત્યારે તેની આંખો ઝળકવા લાગી. એ ઝળકાટ હજી મને યાદ છે. રણશિંગાં ફૂંકાતાં હતાં, ત્યારે યોદ્ધાઓને પાનો ચઢાવનાર એજ ઝળકાટ હતો. જોનની છાતી કંપવા લાગી; મુખ ઉપર સુરખી છવાઈ રહી. “હા, આજે હું બધું જાણું છું. પ્રભુએ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે અધમમાં અધમ પ્રાણીને પસંદ કર્યું છે. તેની આજ્ઞાથી, તેના રક્ષણથી, તેની શક્તિથી – મારી શક્તિથી નહિ – હું લશ્કરોને દોરવીશ, ફ્રાન્સને સ્વતંત્ર કરીશ અને તેના યુવરાજને મુગટ ધારણ કરાવીશ, અને એ આપણો મહારાજા બનશે.”

હું વિસ્મય પામ્યો.

“શું તું જોન ! તું નાનું છોકરું શું સરદાર થશે ? !”

“હા, એ સાંભળીને એક બે પળ તો હું પણ ગભરાઈ. મને કશાનું પણ જ્ઞાન નથી. ન યુદ્ધકળાનું કે ન રાજ્યકળાનું; પણ હવે તો હું નીમાઈ ચૂકી છું. હું આપણા પ્રાંતના ગવર્નર આગળ જઈશ. થોડાક સિપાઈ માગીશ. બધા કામની શરૂઆત હમણાંજ થઈ જવાની છે અને અંત પણ બહુ ઓછા સમયમાં જણાઇ આવશે. આજથી દશ અઠવાડીઆં સુધીમાં શત્રુના સર્વ પ્રયત્નો ધૂળ મળશે, અને આપણા યુવરાજના માથા ઉપર રાજમુગટ શાભશે.”

આ સર્વ આશ્ચર્યજનક વાણી હતી. તર્કબુદ્ધિથી આ મનાય એમ ન હતું, પણ કોણ જાણે ક્યાંથી મારા હૈયામાં શ્રદ્ધાજ જાગી હતી. તે દિવસથી મારું હૈયું શ્રદ્ધાળુજ બનતું આવ્યું છે. મે કહ્યું :—