પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




साध्वी इलिझाबेथ


૧ – જન્મ અને વિવાહ

ઇલિઝાબેથ હંગરીનાં રાજકન્યા હતાં. તેમનો જન્મ ઈ. સ. ૧૨૦૭ માં થયો હતો. તેમના સ્નેહમય પિતા એન્ડ્રુ હંગરીના રાજા હતા. પરંતુ રાજ્યાસન ઉપર બિરાજવા છતાં પણ એમના પવિત્ર ચારિત્ર્ય તથા સહનશીલતા માટે લોકો એમનાપ્રત્યે અતિશય શ્રદ્ધા પ્રકટ કરતા હતા. રાણીનું જીવન ધર્માચરણથી વિભૂષિત હતું. એ રાજવંશમાં કેટલાક સાધુપુરુષો જન્મ્યા હતા. રાજમહેલના વાતાવરણમાં હજુસુધી એ પૂર્વજોના જીવનકુસુમની સૌરભ આવ્યા કરતી. એ બધા સાધુપુરુષોના પુણ્યના ફલરૂપેજ જાણે ઇલિઝાબેથ હૃદયમાં સ્વર્ગની મધુરતા લઇને કોઈ એક પવિત્રતાના દેશમાંથી આ સંસારમાં ઉતરી આવ્યાં હતાં.

એ રાજકુમારીના જન્મવિષે એક ઘણી આશ્ચર્યકારક કથા પ્રચલિત છે. ઇ. સ. ૧૨૦૬ માં સેકસનીની રાજસભામાં એક પંડિત આવ્યો હતો. એ વખતમાં મનુષ્યોને અલૌકિક વસ્તુઓ તથા ચમત્કારો ઉપર ઘણો વિશ્વાસ હતો. બધાને વિશ્વાસ હતો કે, આ પંડિત અનેક પ્રકારની અદ્‌ભુત કથા કહી શકે છે. એટલા માટે રાજ્યના અસંખ્ય લોકો કાંઇક આશ્ચર્યકારક વાત એ પંડિતને મુખે સાંભળવા સારૂ એની પાસે આવ્યા. પંડિતે ગંભીર સ્વરે કહ્યું કે “મારી પાસે તમે કોઈ નવી વાત સાંભળવા માગો છો, તો લ્યો ત્યારે સાંભળો. હંગરીમાં એક ઉજ્જ્વળ નક્ષત્ર ખીલી નીકળશે. તેના પ્રકાશથી તમારો આખો દેશ ઝળકી ઉઠશે અને ત્યારપછી થોડાક દિવસમાં રાજા એન્ડ્રુના ઘરમાં એક બાલિકા જન્મ ગ્રહણ કરશે. એ કન્યાની આધ્યાત્મિક શક્તિની કથા દેશવિદેશમાં પ્રસરી જશે. એ પોતાના ધર્મજીવનદ્વારા ખ્રિસ્તી જગતમાં પ્રકાશ, આનંદ અને આશા લાવશે.”

એ પંડિતની ભવિષ્યવાણી પછીજ ઇલિઝાબેથનો જન્મ થયો