પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ઑગસ્ટીન્સનો કિલ્લો અમે તાબે કર્યો, પણ હજી હૂરેલીસનો તાબે કરવાનો રહ્યો. જો પૂલ જીતીને તે કિલ્લામાં પડી રહેલા લશ્કરને હરાવીએ, તો તે પણ અમારો થાય. એક મહાભારત કામ અમે કર્યું હતું, અને જોનનો નિશ્ચય બીજું પણ પાર પાડવાનો હતો; તેથી તેણે લશ્કરને લૂટફાટ કરવા છુટું ન મૂકી દેતાં, બધી વ્યવસ્થા સાચવી.

તે દિવસે અમે સર્વે થાકી ગયા હતા. જોનની મરજી તો ટૂલીસ આગળ પડાવ નાખવાની હતી, પણ અમે તેને માંડ માંડ સમજાવી પૂરતો વિશ્રામ લેવા તેના ઉતારામાં મોકલી. વળી એક તબીબની પણ ગોઠવણ કરી, કારણ કે તેના પગમાં જખમ થયા હતા.

(૧૩)

જોનને વિશ્રામની જરૂર હોવાથી તેણે તે દિવસે કોઈને મુલાકાત આપી નહિ. સાંજે તે જમી, અને તેના ઘાને મલમપટો લગાવવામાં આવ્યા; પણ તેણે સૂઇ જવાને બદલે મને બોલાવવા માટે બટુકને મોકલ્યો. જોનને પોતાની માતા પર એક કાગળ લખવાનો હતો. હુ આવ્યો કે તુરતજ તે લખાવવા બેઠી. પ્રેમના થોડાક શબ્દો લખાવ્યા પછી તે આ શબ્દો બોલીઃ—

“પણ આ કાગળ લખવાનો ઉદ્દેશ એ છે કે, મને જખમ થયો છે એવી તમને ખબર પડે, ત્યારે તમે ચિંતા કરશો નહિ; અને જો તમને કોઇ ડરાવે, તો ડરી જશો નહિ.”

“નહિ, એમ લખાવો નહિ. તેઓ બિચારાં આ વાંચીને કેટલાં ગભરાશે ! બે દિવસમાં પગ સારો થયા પછી તમે લખાવજો કે મારો પગ ઘવાયો હતો. તે સારો પણ થઈ ગયો છે. મારૂં કહ્યું માનો.” એ સાંભળી રૂપેરી ઘંટડી વાગે એવા ઝીણા સ્વરે જોન બોલી:–

“મારા પગ માટે ? થોડાક ઉઝરડા પડ્યા છે, તેને માટે હું શુ લખું ? તેનો તો મને ખ્યાલજ નથી.”

“શું તમને બીજો કોઈ ઘા વાગ્યો છે, અને છુપાવો છો ?”

જોનની દાસી ધ્રુજતી ધ્રુજતી તબીબને બોલાવવા ઉઠી, પણ જોને તેનું કાંડું ઝાલી રાખી કહ્યુંઃ

“બાપુ ! શાંત થા. મને ક્યાંય પણ જખમ પડ્યો નથી. જે ઘા માટે હુલખાવુ છુ, તે તો કાલે મને કિલ્લા ઉપર હલ્લો કરતાં પડશે.”

અમે બધાં ગુંચવાઈ ગયાં–અજાયબ થયાં. જોનની દાસીએ કહ્યું:

“તમને તે ઘા કાલે પડશે ? એમ કદાપિ બને નહિ. પછી