પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

તે રડવા લાગી, પણ જોને તેને ઘણાં ઘણાં લાડ લડાવી છાની રાખી. જોનનો નિશ્ચય હતો કે, યુદ્ધમાં તો જવું જ.

પછી કાગળ લખાયો. પોતાની માતા પર લખેલા એ કાગળથી પણ ન દુઃખી ન થઇ; પણ જ્યારે તેણે પોતાના બાળગોઠીઓને સંભાર્યા, ત્યારે ગદ્‌ગદ્ સ્વરે તેણે લખાવ્યું કેઃ—

“બધાને મારી લાખ લાખ સલામો લખજે. અરે, હવે હું કોઈ દિવસ ઘેર પાછી ફરીશ નહિ ! ”

એવામાં જોનના સરદારો તરફથી દૂત આવ્યો. સરદારોએ સભા ભરી નક્કી કર્યું હતું કે, જે કામ થયું છે તે પૂરતું છે; હવે પરમેશ્વરનો આભાર માની વિશ્રામ લો. શત્રુઓ ઉપર હલ્લા ન કરવા, પણ તેઓ હલ્લા કરે ત્યારે પોતાના બચાવ કરવા માટે લડવું. આ તેઓના છેલ્લામાં છેલ્લો નિશ્ચય હતો.

“બાયલાઓ ! આ કારણથીજ મને રણમાંથી વિશ્રામ લેવા અહીં મોકલી ! હાયર અને તેના જેવા બીજા બે-ચાર માણસો જે મારા વિશ્વાસુ નાયક છે, તેમને હવે હું લશ્કરની સરદારી સોંપું છું. કોઈ પણ સરદાર ત્યાંથી એક પણ ડગલું આમ કે તેમ મૂકશે, તો તેની જવાબદારી તેઓને શિર છે, કાલે યુદ્ધ થશેજ.” દૂતને આટલું કહીને પછી તેણે પોતાના પાદરીને કહ્યું:—

“કાલે સવારે વહેલા ઉઠજો. આખો દિવસ તમારે મારી પાસે રહેવું પડશે. મને ઘા લાગશે, તે ડોક અને ખભાની વચ્ચે લાગશે.”

(૧૪)

મળસ્કામાં અમે ઉઠ્યા, અને પ્રાર્થના કરી રહ્યા પછી ચાલવાની તૈયારી કરી.

જોને હજી નાસ્તો નહોતો કર્યો. તેને આખો દિવસ લડવાનું હતું, તો પણ એટલું કરવાની તેને ધીરજ રહી નહોતી. અમે બહુ કરગરર્યાં, પણ જોન એકની બે થઈ નહિ.

“ત્યારે તમે ક્યારે જમશો ? ક્યારે પાછાં આવશો ?”

“જ્યારે હું ઓર્લિયન્સનો ઘેરો ઉઠાવીશ ત્યારે. વધો આગળ !”

અમે ચાલ્યા. રસ્તાઓ શહેરીઓ અને સૈનિકોથી ભરચક લાગતા, પણ બધે સૂનકાર વ્યાપી રહ્યો હતો. કોઈ હસતું ન હતું, પણ જ્યારે લોકોએ જોનને જોઈ ત્યારે લાખો ઠેકાણેથી પ્રશ્ન ઉઠ્યા:

“આપણી કુમારિકા ક્યાં જાય છે ? ક્યાં જાય છે ?”

જોને એ સાંભળ્યું, એ ઉંચે સ્વરે બોલી :–