પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

દુશ્મન એટલા તો જક્કી હતા કે અમારા સિપાઈઓ વિજયની શંકા કરવા લાગ્યા. તેઓ અજબ બહાદુરીથી લડતા હતા. જોન આ જોઈ હિંમત આપવા આગળ થઈ, તે નીસરણી ઉપર ચઢી, પણ એક મોટો પથ્થર તેના ટોપ ઉપર આવ્યો, અને તુરતજ તે ઘવાઈને નીચે પડી; પણ એ એકજ પળ. પેલો બટુક તેનું રક્ષણ કરતો હતો. તુરતજ જેને નીસરણી ઉપર ધસી જઈ બૂમ પાડીઃ–

“ધસો ! ધસો ! મારા વીરપુરુષો ! શત્રુ ઝખ મારે છે ! આપણે જીતવાનો સમય આવી પહોંચ્યો છે !”

અમે સઘળા જબરો પોકાર કરીને ધસી ગયા, અને કીડીની માફક બધે ચોંટી ગયા. દુશ્મનો નાઠા; અમે પાછળ પડ્યા. જારગોનો કિલ્લો અમારા તાબામાં આવ્યો. અશક્ય હતું તે શક્ય થઈ પડ્યું !

અમારા મનથી તે પવિત્ર દિવસ હતો. અમને ઘણા કેદી મળ્યા, પણ જોને તેઓને કંઈ પણ ઇજા થવા દીધી નહિં. બીજે દિવસે અમે નગરવાસીઓના હર્ષનાદ સહિત ઓર્લિયન્સમાં પેઠા. સૈનિકો માર્ગમાં જોનની તરવારને અડકતા – એવી ધારણાથી કે પોતે પણ જોન માફક હંમેશ વિજયી રહે.

(૧૭)

હવે અમે એક મહાભારત કામ પરિપૂર્ણ કર્યું હતું. હવે લશ્કરને વિશ્રામ જોઈએ; અને તેને માટે બે દિવસ પૂરતા હતા.

ચૌદમી તારીખની સવારે જોનના ખાનગી એારડામાં હું તેના કાગળ લખતો હતો, એવામાં જોનની એક સખી ત્યાં આવીને બેઠી. તુરતજ તેણે વાત ઉપાડી:–

“જોન ! તમે મારી સાથે આજે વાત કરશો ?”

“શું કામ નહિ ? તારે જે કહેવું હોય તે કહે.”

“કાલે રાત્રે મને ઉંઘ ન આવી, તેનું કારણ તમે આટલાં બધાં જોખમ વેઠો છો, એ બાબતનું મનન જ હતું. અસંખ્ય તોપના ગોળા ઉડતા હતા, તેમાં તમે ડ્યુકની જીંદગી બચાવી !”

“વારૂ, એમાં કંઈ ખોટું હતું ?”

"ખોટું તો કંઈ નહિ, પણ તમે તો ત્યાંનાં ત્યાંજ રહ્યાં. એવું જોખમ તમે શા માટે વેઠ્યું ?”

“અરે ! કંઈ નહિ, હું જરા પણ ભયમાં નહોતી.”

“એટલા તોપના ગોળા ઉડતા હોય, ત્યારે આપણી શ્રદ્ધા કેમ રહે ?”