પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

રાજ્યાભિષેકની ક્રિયા સામે કંઇ પણ પ્રતિબંધ નહોતો. રાજ્યાભિષેક થયા પછી જોનનું જીવનકાર્ય પરિપૂર્ણ થવાનું હતું.

રાજાને રેમ્સ જતાં ભય લાગતો હતો. કારણ કે માર્ગમાં માઈલે માઇલે અંગ્રેજી કિલ્લાઓ આવતા. રાજાને મન તો તે સર્વ અજિત હતા, પણ જોનને મન તે કંઈ નહોતું, તો પણ અમે જેમ તેમ બધાને સમજાવી ગીનથી બાર હજાર માણસ સાથે ચાલ્યા. આજે જુનની ઓગણત્રીસમી તારીખ હતી.

ઑકસેરીમાં અમે ત્રણ દિવસ રોકાયા. તે શહેરે લશ્કરની ખોરાકી આપી, અને શરણે આવ્યું. અમે શહેરની બહારજ પડાવ નાખ્યો. સેન્ટ ફ્લોરન્કીનના કિલ્લાએ પણ તાબે થવાનું ઉચિત ધાર્યું.

ચેાથી જુલાઇએ અમે સેંટ ફાલ પહોંચ્યા. ત્યાંથી અમે ટ્રોય્સ તરફ પ્રયાણ કર્યું. જોને એ ગામને શરણે આવવા સૂચવ્યું, પણ તેની આજ્ઞા પળાઈ નહિ. જોને સાથે તોપખાનું લીધું નહોતું તેથી તેઓ પોતાને સહીસલામત ધારતા હતા. પાંચ દિવસ સુધી અમે કોલકરારો કરવા પ્રયત્ન કર્યો, પણ તે અફળ ગયો. રાજા આથી નિરાશ થઈ ગયો અને પાછા વળવા ધાર્યું; પણ હાયર સભામાં રાજાને પણ લાગુ પડે, એવાં વાક્યો બોલ્યો : “કુમારિકા જોને આ લશ્કરના ઉપરીનો હોદ્દો લીધો છે, તો પછી ગમે તે માણસને જોન સામે થવાનો અધિકાર જ નથી.” અસ્તુ.

તેથી રાજાએ જોનને તેડાવી અને શું કરવું તે વિષે પૂછ્યું. જોને જરા પણ શંકા વિના કહ્યું :–

“ત્રણ દિવસમાં આ સ્થળ આપણું માની લેવું.”

“સાચું પૂછો તો છ દિવસ લાગશે.” એક અધિકારી બોલ્યો.

“છ દિવસ ! પ્રભુનું નામ લઈને કહું છું કે, કાલે આપણે ટ્રોય્સના દરવાજામાં દાખલ થઈશું.”

પછી તે ઘેાડા ઉપર સ્વાર થઈ. લશ્કરને તપાસી તેણે કહ્યું :–

"તૈયારી કરો, મારા મિત્રો ! કામે લાગો. કાલે આપણે હલ્લો કરવાનો છે.”

જોને આખી રાત્રિ સાધારણ સિપાઈની માફક કામ કર્યા કર્યું. પછી સવારે તેણે પોતાનો હોદ્દો સંભાળી હુમલો કરવા હુકમ આપ્યો. તેજ વખતે સામાવાળાઓએ સુલેહનો વાવટો બતાવ્યો. આવી રીતે કંઇ પણ લોહી રેડાયા વિના ટ્રોય્સ તાબે થયું.