“હા, હું મારી માને કામ કરવા લાગતી, અને બકરાં તથા ઢોર — ઢાંખર ચારવા જતી.”
તેનો સ્વર ધ્રૂજ્યો, પણ બહુ ઓછા તે કળી શક્યા. મારા દિલમાં બાલ્યાવસ્થાના ભણકારા વાગતા હતા.
પછી ન્યાયાધીશે તેની પ્રેરણાવિષે વાત કાઢી. ન્યાયાધીશને ઠરાવવું હતું કે, આ પ્રેરણા મલિન હતી; રાક્ષસ તરફની હતી; પિશાચી હતી. લોકોને આ વિષય વધારે રૂચતો હતો, તેથી તેઓ સચેત થયા.
“પહેલાં તને ક્યારે પ્રેરણા થઈ ?”
“હું તેર વર્ષની હતી ત્યારે પહેલાં મને ઈશ્વર તરફથી સાત્ત્વિક જીવન ગાળવા ફરમાવવામાં આવ્યું. હું જરા બ્હીની ત્યારે ખરો મધ્યાહ્ન હતો અને હું મારા પિતાની વાડીમાં રમતી હતી.”
“ત્યારે તેં અપવાસ કર્યો હતો ?”
“હા.”
“તે દિવસ પહેલાં ?”
“ના.”
“કયી દિશાથી તે અવાજ આવ્યો ?”
“જમણી બાજુથી – દેવળની બાજુથી.”
“સાથે સાથે કંઈક તેજ પણ દેખાયું ?”
“હા, તેજ બહુ પ્રકાશિત હતું. વખત જતાં અવાજો જોરથી સંભળાતા.”
“અવાજ કેવા હતા ?”
“બુલંદ અને મધુર — જાણે ઈશ્વર તરફથી આવતા હોય. ત્રીજી વખત અવાજ આવ્યો; ત્યારે તે ફિરસ્તાનો છે, એમ મને જણાયું.”
“તને તે સમજાતો ?”
“ઘણી સહેલાઈથી – બહુજ સ્પષ્ટ રીતે.”
“આત્મમુક્તિ માટે તેણે તને શું સલાહ આપી ?”
“તેણે મને પવિત્ર જીવન ગાળવાનું અને શાસ્ત્રને અનુસરી ચાલવાનું કહ્યું. વળી તેણે મને કહ્યું કે તારે યુદ્ધમાં જવું.”
“તે વ્યક્તિની આકૃતિ તથા દેખાવ કેવાં હતાં ?”
“તે હું તમને કહીશ નહિ.”
“તે વ્યક્તિ વારંવાર દેખાતી ?”
“હા, અઠવાડીઆમાં બે – ત્રણ વખત. તે વ્યક્તિ મને કહેતી