“મારા આત્માની મુક્તિસંબંધી.”
“ધર્મનો તહેવાર હતો તેજ દિવસે તેં પારીસ ઉપર હલ્લો કર્યો હતો તે સાચી વાત ?”
“હા.”
“ત્યારે ઉત્તર દે કે એ વ્યાજબી છે !”
“હું તેનો ઉત્તર આપવા બંધાતી નથી.”
કેટલાકે સ્મિત કર્યું. બીજા ખડખડ હસવા લાગ્યા. જાળ બહુ હુંશિયારીથી પથરાઈ હતી, પણ તે તૂટી પડી.
કૉર્ટ ઉઠી; કલાકના કલાક સુધી તે બેઠી હતી, અને હવે થાકી ગઇ હતી. દરમિયાન જોનને ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા; અને દરેકમાં લાખો જાળ પાથરવામાં આવી હતી, પણ જોન પોતાની નિર્દોષતાને લીધે તેમાંથી બચી ગઈ.
વિદ્વાન, અનુભવથી ઘડાયેલા અને બુદ્ધિશાળી આ ભયંકર બાસઠ પંડિતો એક અજ્ઞાન ગરીબ ખેડૂતની છોકરીને ન છેતરી શક્યા ! પંડિતો આવ્યા હતા પારીસના વિદ્યામંડળમાંથી અને તે આવી હતી ઢોર–ઢાંખરોના વાડામાંથી. અહા ! તે કેટલી મહાન હતી ! કેટલી અદ્ભુત હતી ! !
(૫)
બીજે દિવસે – ચોવીસમી ફેબ્રુઆરીએ કૉર્ટની બીજી સભા ભરાઈ. આ કૉર્ટે આગળનીજ રીતે કામ શરૂ કર્યું :–
“તું સોગંદ ખા કે, હું બધું સત્ય કહીશ.”
“એક વખત સોગંદ ખાધા છે તે પૂરતા છે.”
“જો તું સોગંદ નહિ ખાય તો તું ગુન્હેગાર છે, એમ ઠરીશ.”
“ભલે, એક વાર સોગંદ મેં ખાધા છે; હવે નહિ ખાઉં.”
બીશપ જોનને ધમકી આપવા લાગ્યો.
“ગમે તેમ હોય તોપણ હું સઘળું જણાવીશ નહિ. પરમેશ્વર પાસેથી હું આવી છું; મારે અહીં હવે કંઇ કામ રહ્યું નથી. મને પરમેશ્વર પાસે પાછી મોકલી દો. મારી જીંદગી જોઈએ તો લ્યો, પણ મને શાંતિમાં રહેવા દો.”
અહા ! તે જોનના શબ્દ કેટલા કરુણાજનક હતા !
પછી તેને ધર્મસંબંધી અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા; પણ ધર્મ નાં મૂળ તો તેના આત્મામાં ઉંડાં ઉતર્યા હતાં, એટલે એમાં એ કંઇ પણ ભૂલ કેમ કરે ?