આટલા દિવસ કૉર્ટ ચાલી. શું તેનું કંઈ અમુક પરિણામ આવ્યું હતું ? હા, આમ તેમ ફાંફાં મારતાં તેને ખબર પડી હતી કે, બે ત્રણ વિષયેામાં જોનને ફસાવી શકાય. દાખલા તરીકે તેનો પુરુષ જેવો પોશાક, ગેબી સ્વપ્નાં અને અવાજો વગેરે. આ બધી કૃતિ ઈશ્વરની નહિ, પણ સેતાનની છે, એમ ઠરાવવાનું હતું. જો કે હજીસુધી તપાસ કોઈ અમુક નિર્ણય ઉપર આવી નહોતી, પણ વહેલીમોડી આવશે, એવી આશા રખાતી; અને તેથીજ વારેઘડીએ ઉપલી બે ત્રણ વાતોનું પીંજણ ચાલતું.
(૬)
બીજે દિવસે અઠ્ઠાવન ન્યાયાધીશો હાજર હતા.
સોગંદ માટે સ્વાભાવિક રીતે માથાકૂટ થઈ, પણ જોન તો પોતાના નિશ્ચયને જ વળગી રહી.
પ્રશ્ન શરૂ થયા :–
“તને કેમ ખબર પડતી કે, ચોક્ક્સ બનાવો બનવાનાજ છે ?”
“મને પ્રેરણા થતી. તમે મારી સામે બેસો અને હું જાણું કે તમે બેઠા છો, એમ બધું જણાતું.”
આવા ઉત્તરોથી બિચારો ન્યાયાધીશ નિરાશ બની અન્ય કોઇ વિષય ઉપાડતો.
“તારા દેવદૂતો કયી ભાષા બોલતા ?”
“ફ્રેન્ચ.”
“બીજા મહાત્માઓ પણ ?”
“હા, તેઓ અમારા પક્ષમાં છે.”
જોનના આ શબ્દોની ખાસ નોંધ કરવામાં આવી.
“ફિરિસ્તાઓ ઝવેરાત પહેરે છે – મુકુટો, હારો, વિંટીઓ વગેરે ?”
આ સવાલો નિરર્થક હતા. જોન આફળાફાફળા ઉત્તર આપતી, પણ તેમાંથી એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો. જોનને એમાંથી પેાતાની વાત યાદ આવી.
“મારી પાસે બે વિંટીઓ હતી. મને કેદ કરી, ત્યારે મારી પાસેથી એ છીનવી લેવામાં આવી હતી. તેમાં એક તમારી પાસે છે, એ મારા ભાઈએ મને આપી છે. મને એ પાછી મળવી જોઇએ, અને જો મને તે ન આપવામાં આવે તો ધર્મમંદિરમાં તે ભેટ કરવી જોઈએ.”