પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ પણ રીતે માર્ગ તો કરવો જોઇએ. કોશનને દયા નહોતી; છતાં હવે તેણે દયા દર્શાવવાનો ડોળ કર્યો. આટલા બધા ન્યાયાધીશોએ નિરર્થક શું કામ હેરાન થવું જોઈએ ? તેણે થોડાક પોતાના જેવા વિચારવાળા ન્યાયાધીશો પસંદ કરી બાકીનાને રજા આપી, કે જેથી તે હવે જોનનું કાસળ નિરાંતે કાઢી શકે. વળી શ્રોતાઓ અંદર દાખલ થતા તેનો હવે પ્રતિબંધ થયો. લોકો કોશનને નિરાશ થઈ ગયેલો જોઈ તેના તરફ હસતા; તેથી હવે તેઓને આવતા રોક્યા એટલે કોશનને તો નહિ દેખવું ને નહિ દાઝવું.

દશમી માર્ચને દિવસે આ છુપી તપાસ શરૂ થઈ. આ વખત ના જોનના દેખાવથી મને બહુ લાગી આવતું. તે અશક્ત થઈ ગઈ હતી, અને તેથી તેનું મન સ્થિર રહી શકતું નહોતું. બીજી કોઈ કોર્ટે તેની આવી નિર્બળ સ્થિતિનો લાભ ન લીધો હોત; પણ આ લોકો તો તેને કલાકના કલાક સુધી પ્રશ્ન પૂછી થકવી નાખતા.

જોને પ્રેરણાની વાત પોતાનાં માબાપથી ગુપ્ત રાખી હતી. આ મુદ્દા પરથી તેની પ્રેરણા પિશાચી પ્રેરણા હતી, એમ સિદ્ધ કરી શકાય. કેમકે જોને પોતાનાં માબાપથી પણ આ વાત ગુપ્ત રાખીને તેમને છેતર્યા હતાં.

“શાસ્ત્રમાં લખ્યું છે કે, સૌએ પોતાનાં માતાપિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. છતાં તું તારાં માબાપને જણાવ્યા વિના ચાલી ગઈ, તે શું ઉચિત હતું ?”

“આ વિષયસિવાય બીજા બધા વિષયોમાં હું તેમની આજ્ઞા પાળતી આવી છું. મારા દોષ માટે મેં તેમની આગળ માફી યાચી છે અને માફી મેળવવા હું ભાગ્યશાળી થઈ છું.”

“માફી માગી ? ત્યારે તું જાણે છે કે તારું પગલું પાપી હતું?”

જોનનો ક્રોધ ન સમાયો – તેની આંખો બળવા લાગી.

“મને ઈશ્વર તરફથી હુકમ હતો, અને ત્યાં જવા મેં યેાગ્ય ધાર્યું.”

“મારાં માબાપને પ્રેરણા સંબંધી કહું કે નહિ ? એવું તેં તારા ગેબી નાદોને નહોતું પૂછ્યું ?”

“દેવો સંમતિ દર્શાવતા; પણ મારાં માબાપને આ વાતથી દુઃખ થાય, તેને માટે મેં તેમને તે ન જણાવ્યું.”

હવે કોશને એક અપરાધ ઠોકી બેસાડ્યો. બાકી ખરી રીતે તો આ જોનના આત્મગૌરવને લીધે હતું.