પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ્યારે તેના મિત્રો ઉપર દોષ મૂકવામાં આવ્યો ત્યારે તે બોલી: “જે કર્યું છે તે મેં કર્યું છે; એમાં કોઈનો વાંક નથી. હુંજ સઘળાં કામો માટે જવાબદાર છું.”

દરમિયાન ન્યાયાધીશો પરસ્પર યુક્તિઓ ઘડતા હતા, પણ હવે લોકો અધીરા થવા લાગ્યા. ઉભા રહેવાથી અને સખ્ત તાપથી તેઓ કંટાળી ગયા હતા. હવે કામ બને તેટલી ઉતાવળથી ઉકેલવાની આવશ્યકતા હતી. છેવટે એક ન્યાયાધીશને જોન પાસે મોકલવામાં આવ્યો. તેણે જોનને કહ્યું:–

“તારે તારો બચાવ ખેંચી લેવો છે ?”

“શું?”

“તારો દાવો ખોટો છે, એમ તું કહે છે ?”

"શું?”

જોને સાંભળતી નહોતી. તેની ઇંદ્રિયો થાકથી સૂઈ ગઈ હતી. તેણે સાંભળવા પ્રયત્ન કર્યો, પણ આખા વાક્યનો તે અર્થ સમજી શકી નહિ. દુઃખથી–મુંઝવણથી–ગભરાટથી તે ચીસ પાડી ઉઠી–

“ગમે તેમ હોય, તોપણ મારો ન્યાય હું સૃષ્ટિના સનાતન ધર્મને સોંપું છું.”

એવામાં અવાજ આવ્યો:–

“તારે તારો બચાવ પાછો ખેંચી લેવો પડશે, નહિ તો તને બાળી નાખવામાં આવશે. આ તું નક્કી જાણજે.”

જોને આ ભયંકર શબ્દો સાંભળી ઊંચું જોયું. તેણે પહેલી જ વાર ધગધગતી ચિતા જોઈ, તેનો શ્વાસ ઉંચે ચઢવા લાગ્યો, શરીર લથડીઆં ખાવા લાગ્યું, ચિતાને અને લોકોને જાણે તે સ્વપ્નામાં જોતી હાય, એવા આશ્ચર્યથી કંઈ પણ વિચાર વિના શૂન્ય વૃત્તિથી જોવા લાગી.

થોડીક વારમાં પાદરીઓનું એક ટોળું તેને સમજાવવા લાગ્યું. લોકોમાં ચારે તરફ ઉશ્કેરણી ફેલાઈ.

“સહી કર, અમે કહીએ છીએ એમ કર. ખાલી મફતની શું કામ બળી મરે છે ?” જોનને કાને વિનતિ અને આજીજીના અવાજ આવ્યા, અને એવામાં એક બીજો અવાજ આવ્યો. કોશન જોનને થવાની શિક્ષા વાંચવાની તૈયારીમાં હતો.

જોનની શક્તિ ગુમ થઈ ગઈ. ગભરાટથી તે આમતેમ જોવા લાગી. પછી ઘુંટણ ઉપર બેસી માથું નીચે ઝુકાવીને તે બોલીઃ