પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તમે કહો તેમ હું કરું છું.”

જ્યારે એક પાદરી સંમતિપત્ર વાંચતો હતો, ત્યારે જોન તેના શબ્દોનો ફરી ફરી ઉચ્ચાર કરતી હસતી હતી. તેનો આત્મા અન્ય ભૂમિમાં ભમતો હતો.

પછી પેલો નાનો કાગળ દૂર કરી તેને બદલે અસંખ્ય પાનાંનો પોથો ત્યાં સેરવી દેવામાં આવ્યો. જોને કહ્યું કે, મને લખતાં આવડતું નથી, તેથી એક જણાએ તેનો હાથ ઝાલી “જીની” એવા ઘુંટરડા કર્યા.

ધારેલું કાર્ય પરિપૂર્ણ થયું; જોને સહી કરી હતી ? શેના ઉપર ? પોતે તે જાણતી નહોતી, પણ બીજા તે જાણતા હતા. પોતે ડાકણ છે, જાદુગરણ છે, પિશાચો સાથે વ્યવહાર રાખે છે, ખોટી છે, ધૂતારી છે, પ્રભુને નિંદનારી છે, લોહીની તરસી છે, અશાન્તિની ઉપાસક છે, ક્રૂર છે, ઘાતકી છે, સેતાન તરફથી આવેલી છે વગેરે વગેરે એ સહી કર્યાથી તેણે કબૂલ રાખ્યું હતું અને પુરુષનાં વસ્ત્ર ત્યજી દેવા વચન આપ્યું હતું. બીજા અગણિત વચન દીધાં હતાં, પણ આ એકજ તેના વિનાશ માટે સંપૂર્ણ હતું.

પછી કોશને પત્ર વાંચી તેને ધર્મમાં લીધી, અને પૂજાપાઠના હક્ક આપ્યા. જોને આ સાંભળ્યું. તેને કેટલો આનંદ થયો હશે ! પણ નહિ; હું છેતરાયો હતો. જોનને જે હક્ક આપ્યા હતા, તે તુરતજ છીનવી લેવામાં આવ્યા. કોશને લેશ પણ દયા વિના આ પ્રાણઘાતક શબ્દો ઉચ્ચાર્યા:–

“હવે તું તારા ગુન્હાઓનું પ્રાયશ્ચિત્ત કરે, તેને માટે હું તને જીવન કેદની શિક્ષા કરૂં છું !”

જોનને કેદમાંથી છોડી મૂકવાનું અગાઉ સ્પષ્ટ વચન અપાયું હતું. “જીવન કેદ” જોને આ વાત સ્વપ્નમાં પણ ધારી નહોતી. જોન પાષાણવત્ થઈ ગઈ ! સ્તબ્ધ, શાન્ત તે ઉભી રહી; પૂતળું થઈ ગઈ ! તેણે આ સાંભળ્યું, એવામાં તેને કંઈક સાંભર્યું. તે બોલી:–

“તમે મને ધર્મમંદિરમાં દાખલ કરી છે, તો હવે તમારા કેદખાનામાં મને લઈ જાઓ.” સાંકળો ભેગી કરી તે ત્યાંથી ચાલવા મથી. તેની સાથે ત્યાં સ્ત્રીઓને રાખવામાં આવશે, એમ તે ધારતી હતી.

પણ કોશને હસીને મશ્કરી કરીને કહ્યું:–