પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને ગંભીરતાથી બોલતી હતી. કારણ કે તેને ખબર હતી કે, આમ કરવાથી મૃત્યુ વહેલું આવશે અને મૃત્યુ વહેલું આવે એમ વધારે સારું હતું.

જોનનો ઉત્તર તદ્દન સત્ય હતો. હું રોમાંચ અનુભવતો હતો. જ્યારે તે બોલતી હતી, ત્યારે મને લાગ્યું કે તે પોતાનેજ મૃત્યુની શિક્ષા કરતી હતી.

“મેં ચિતા ઉપર જે જે કબૂલ કર્યું હતું, તે સર્વ મારી મરજી- વિરુદ્ધ અને સત્ય વિરુદ્ધ છે. મને એ કબૂલ કરવાની જરા પણ ઈચ્છા નહોતી. મને હવે આ સઘળાનું પ્રાયશ્ચિત્ત કરવા ધ્યો, મને મરવા ધ્યો. હવે મારાથી કેદખાનાની પીડા સહન થતી નથી.”

આ શબ્દ સાંભળવા ખરેખર દયાજનક હતા. જોનનો સ્વતંત્ર આત્મા પરતંત્ર દેહથી છૂટવા માગતો હતો. કેટલાક ન્યાયાધીશો ગંભીર હતા. કેટલાક શોકગ્રસ્ત હતા. પાષાણ હૃદયનો કોશન હસતાં હસતાં બોલ્યો:–

“હવે સુખમાં રહો. તે ખલાસજ થઈ ગઈ, એમ સમજજો !”

અનાથ ગરીબ બાળાને મારવામાં તારી શું વીરતા ? ઓ ક્રૂર કોશન !

××××

બીજે દિવસે બુધવારે સવારે જોનને મૃત્યુ માટે તૈયાર કરવા એક પાદરી મોકલવામાં આવ્યા. આ વખતે જોનનો ચહેરો શોકાતુર હતો. તે વિચાર કરતી હતી.

શું તે પોતાના વતન માટે વિચાર કરતી હતી? પોતાની બાલ્યાવસ્થા માટે ? પોતાનાં માબાપ માટે ? પોતાને થયેલા ગેરઈન્સાફ માટે ? કે કેવી રીતે તેનું મૃત્યુ થશે તેને માટે ?

અમે થોડીક વાર છેટે ઉભા રહ્યા. તેણે હજી અમને જોયા નહોતા–એટલી તે વિચારમગ્ન હતી, થોડીક વાર પછી પાદરીએ ધીમેથી કહ્યું:–

“જોન!”

તેણે ઉંચે જોઈ હાસ્ય કર્યું. હાસ્ય ફિક્કુ હતું. તે બોલી:–

“બોલો, શું સંદેશો લાવ્યા છો?”

“મારા શબ્દો તમે સહન કરી શકશો?”

માથું નીચે નમાવી જોને કહ્યું: “હા.”

“હું તમને મૃત્યુ માટે તૈયાર કરવા આવ્યો છું.”