પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

જોન ઑફ આર્કના અંગનું લાલિત્ય ઝંખવાયું નહોતું.

જોન આ વખતે પોતાના અને પેાતાના દુ:ખનો વિચાર કરતી નહોતી; પણ પોતાની પાછળ બીજાનું શુ થશે, તેને માટે તે શોચતી હતી. ચિતા ઉપરથી તે સુંદર શહેરના મિનારા જોઈને બોલીઃ–

“રાઉન ! રાઉન ! હું મરું છું. હવે તો તારા ઉદરમાંજ કબર થશે ! ! રાઉન ! રાઉન ! મને ભય રહે છે કે, નિરપરાધીના જીવ લેવા માટે તારાં બાલુડાંને મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે !”

એક ધૂમાડાનો ગોટો જોનના મોં પાસે થઇને ચાલ્યો ગયો. જોન પાણી ! પાણી ! કરવા લાગી; પણ બીજી જ પળે તેનો તે ભય જતો રહ્યો. હવે તે શાંતિથી ત્યાં ઉભી.

પેાતાની નીચે બળતા અગ્નિનો સૂસવાટ તેણે સાંભળ્યો. તેની નજર ક્રોસ ઉપર હતી. પછી તે કાળો ધૂમાડો અગ્નિની રાતી જ્વાળા પ્રકટાવતો જોનની આસપાસ વિંટાવા લાગ્યો અને તેને પોતાના વિશાળ ઉદરની અંદર છુપાવી વધારે ને વધારે પ્રચંડ થતો ગયો. ચિતામાંથી હજી જોનની પ્રાર્થનાનો મધુર અને સ્વચ્છ સ્વર સંભળાતો હતો. એક પવનના ઝપાટાએ જ્વાળાને બીજી બાજુ ફેરવી દીધી, અને તેમાં જોનના હાલતા હોઠ ઝાંખા ઝાંખા જોવામાં આવ્યા ! છેલ્લે એક મોટી જ્વાળા ઉછળી આવી અને તે વદનકમળ તેમાં લુપ્ત થઈ જઈને ફરીથી તેને કોઈ જોવા પામ્યું નહિ !

આહા ! હવે તે અમારાથી છૂટી પડી લાંબી મુસાફરીએ નીકળી પડી હતી ! જોન ઑફ આર્ક ! કેટલા નાનકડા નાજુક આ શબ્દો છે ! પણ તે પવિત્ર નામાભિધાનની અધિકારી વ્યક્તિ આ વિચિત્ર જગત ઉપરથી ચાલી ગઈ છે !

સમાપ્ત