પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
મહાન સાધ્વીઓ

સપ્ટેમ્બરે પરલોકગમન કર્યું. તેમના પ્રિય સૈનિકો માલિકના મૃત્યુથી શોકસાગરમાં ડૂબી ગયા.

હાય ! પતિપ્રાણા ઇલિઝાબેથ ! તેમનાથી આ દુઃખ કેવી રીતે સહન થાય ? જ્યારે સ્વામીના મૃત્યુસમાચાર તેમને સંભળાવવામાં આવ્યા, ત્યારે એ એક અસ્વાભાવિક સ્વરે બોલી ઉઠ્યાં કે “હે મારા પરમેશ્વર ! ત્યારે શું આજ સાચેસાચ મારે માટે આખી દુનિયા મરી ગઇ ?” ત્યારપછી એ પતિવ્રતા નારી ગાંડા મનુષ્યની માફક મહેલમાં ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યાં. તેમના મુખમાંથી ફક્ત એકજ વચન નીકળવા લાગ્યું :–

“શું એ મરી ગયા ? શું એ મરી ગયા ?” રાણીની સખીઓ તેમને શાંત કરવા સારૂ પ્રયત્ન કરવા લાગી; પરંતુ જોતજોતાંમાં રાણીના દેહના ધબકારા જાણે બંધ થઈ ગયા. ઉખડી ગયેલી વેલની પેઠે એ એક મહિલાના ખોળામાં મૂર્છા ખાઇને પડી ગયાં.

કેટલીક વાર પછી એ શોકાતુર રમણી કહેવા લાગ્યાં કે “હે મારા ઈશ્વર ! મને ધીરજ આપો, મારા મનને દૃઢ કરો.”

એ સમયે ધર્મશીલા નારી ઇશ્વરના સ્વરૂપમાં નિમગ્ન થઈ જઇને તેની પ્રેમપૂર્ણ વાણી સાંભળી શક્યાં. એ વાણી એ હતી કે “મે જે કાંઈ કર્યું છે તેનું ગૂઢ રહસ્ય અત્યારે તારાથી સમજી શકાશે નહિ, પાછળથી સમજાશે.”

ઇલિઝાબેથ હજુ પણ તરુણાવસ્થામાં હતાં. આ શોકથી એમનું શરીર પણ લથડી જાય એમ હતું, પરંતુ તેમના હૃદયના દેવતા ઈશ્વરેજ એ શેાકમાંથી તેમનું રક્ષણ કર્યું. કેવળ ધર્મવિશ્વાસની શક્તિથી તથા ઈશ્વર ઉપરના પ્રેમથી એ ભક્તિમતી નારીનું ચિત્ત સ્થિર થયું. દિનપરદિન ઈશ્વરના પ્રેમમાં ડૂબી જઈને એ સંસારને ભૂલી જવા લાગ્યાં. હવે ધ્યાન, પ્રાર્થના અને દુઃખીઆંઓની સેવામાંજ તેમનો ઘણોખરો વખત વ્યતીત થવા લાગ્યો. એ સમયમાં રાજમાતા સોફિયા વહુને પોતાનાથી વેગળાં રાખી શક્યાં નહિ. પુત્રશોકથી એમનું પણ હૃદય સળગીને રાખ થઇ જતું હતું: એટલે પુત્રવધુને છાતીસરસાં ચાંપીને એમણે કાંઈક સાંત્વના મેળવી.

૪ – ભિખારણ

ઈશ્વરની ઈચ્છા જાણે એવીજ હતી કે, ઇલિઝાબેથને સારૂ સંસારમાં