દરજ્જાના ધારાશાસ્ત્રીની બાહોશીથી વડદલાના સાતેસાત આરોપીઓને સજા પડી : એકને ફાંસીની, એકને જન્મકેદની બાકીના પાંચમાં કોઈને પાંચ, કોઈને સાત, કોઈને દસ વર્ષની.
જેને ફાંસીની ટીપ મળી તે ભાલો મારનારો વાઘલો નહોતો, એની સંગાથે મુખી તરફ જે દોડેલો તે પાટણવાડિયો પણ નહોતો, વાડીએ જે ત્રીજો હાજર હતો તે પણ નહોતો.
ત્યારે એ કોણ હતો ?
એ નામે વાઘલો હતો : પણ આ ખૂનને ને એને કોઈ નિસબત નહોતી છતાં એ ફાંસીને લાયક જ હતો : કારણ, કોંગ્રેસની લડતમાં મુખીએ આપેલ રાજીનામા ટાણે મુખીપણું લેનારો એ વાઘલો હતો. લાગનો જ હતો : દાઢી માગતી હતી ! પુરાવા સજ્જડ હતા. ધારાશાસ્ત્રી બાહોશ હતા. નિર્દોષ ખૂની ઠર્યો. રાત્રિ દિવસ બની.
જન્મટીપ પામનાર વાઘલો, બેશક, સાચો ખૂની હતો. એનું એટલેથી પત્યું છો પત્યું, એણે કંઈ કોંગ્રેસની લડતને ધક્કો નહોતો પહોંચાડ્યો !
બાકીના પાંચ આ કામમાં છો નિર્દોષ રહ્યા પણ તેથી શું થઈ ગયું ! તેઓ પાટણવાડિયા હતા ચોરી-લૂંટોના કરનારા હતા.
વડદલાના પાટીદારોએ આ સજાના સુનાવણી-દિને જાહેર ઉત્સવ કર્યો.
[૨]
...ભાઈએ જ્યારે સાંભળ્યું કે જેલમાંથી છૂટી આવેલા રવિશંકર મહારાજે વડદલામાં આવીને આ સાત કેદીઓનો મામલો હાથમાં લીધો છે, અને વરિષ્ઠ અદાલતમાં 'અપીલ' કરાવવા તજવીજ ચલાવી છે, ત્યારે એના રોષનો પાર રહ્યો નહીં. મહારાજને પોતાના ઘેર બોલાવીને એણે દમ ભિડાવ્યો કે, "કોળાંને હજુ બહેકાવવા નીકળ્યા છો શું ?"
મહારાજ કહે કે "...ભાઈ ! શું એ ફાંસીએ જવા બેઠેલાનાં નિરાધાર