“હવે ?” ...ના ફોજદારે પૂછ્યું : "અલિયા, હવે આ બાબરિયાને ક્યાં ગોતવો ?”
“છે એક બીજું ઠેકાણું.”
“કોણ ?”
“...નો પાટીદાર ...ભાઈ.”
“...ભાઈ ! શું કહે છે ! શી રીતે ?”
“બાબરિયાને બંદૂક જ એણે આલી છે.”
કેવા કેવા સદ્ગૃહસ્થો આ ડાકુગીરીમાં ભળેલા હતા તેનો ઇતિહાસ દટાઈ ગયો છે.
“ક્યાં રહે છે ...ભાઈ ?”
“એને ખેતરે.”
“ચાલો.”
બાબરને બંદૂક પૂરી પાડનાર એ ગૃહસ્થના રામ રમી ગયા. ઊગરવાનો એક જ ઇલાજ હતો : બાબરને પોતાના ખેતરે બોલાવી પકડાવી દેવો. એણે કબૂલ કર્યું.
એ ગૃહસ્થે સાત દિવસ સુધી બહારવટિયાને ફાંસલામાં લેવા મથામણ કરી. પણ બાબર ન આવ્યો. બાબર મોતીએ એને અલિયાના ફાંસલાથી ચેતવી દીધો હતો.
અલિયો અને ફોજદાર પાછા બોરસદ ગયા. પોતાને સાંપડેલી ગુના કરવાની સત્તાનો હવે તો અલિયાને નશો ચડ્યો. બોરસદની ભરબજારે એણે પોતાના વિરોધી એક મુસલમાનને ઠાર માર્યો, અને બીજા એકનું નાક કાપ્યું.
એ છતાં અલિયો સલામત હતો એ તો આ ગુના બાબર દેવાને પકડાવી આપવા માટે ખેલતો હતો ખરો ને !
બાબર તો પકડાતો નથી. અલિયો 'થોડા ગુના કરજે' એવા કોઈક મૂરખ સત્તાધીશના પરવાનાનો લહાવો લઈ રહેલ છે. દેશના આગેવાનો