ઊભી હતી. ઝીણી નજરવાળાને દેખાઈ આવે કે, આ ઓરતે જ ખોડીઆને ખોટો ખોટો સુવાડી દીધો છે.
"કાં ખોડશંગ ઠાકોર !" મહારાજે ભરનીંદરમાંથી જાગવાનો ડોળ કરતા ખોડીઆને નરમ ટોણો માર્યો : "આખરે તમારો ભેટો થયો ખરો ! બોલો હવે શું કરવું છે ?"
"બાપજી, તમે કહો તે."ઓડીઆળે માથે લાલઘૂમ આંખો ઘૂમાવતા લૂંટારાએ જવાબ વાળ્યો.
"કહું છું કે રજૂ થઈ જા. થોડો દંડ થશે; ભરીશ ને ?"
"હોવે."
"તો હીંડ."
પણ ખોડીઆની નજર અને પેલી બાઈની નજર—ચારે નજરો મળી ગઈ હતી. એ એક જ પલના દૃષ્ટિ–મેળાપે ખોડીઆનો જીવન–પંથ ફેરવી નાખ્યો. એ રખાતની બે મોહક આંખોએ ખોડીઆના મન, પ્રાણ અને ખોળિયા ફરતો એક કાળમીંઢ કિલ્લો ચણી લીધો. એણે જવાબ વાળ્યો :
"આજ તો નહિ, કાલે આવીશ. કાવીઠે હાજર રહીશ."
"ભલે, કાલે સવારે કાવીઠા ગામની ભાગોળને ઓટે હું વાટ જોતો બેસીશ."
એવો વદાડ કરીને મહારાજે વિદાય લીધી.
[૩]
"કેમ અહીં બેઠા છો, બાપજી !"
"વાટ છે એક જણની."
કાવીઠા ગામની ભાગોળે, પેટલાદને રસ્તે, એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમમાં જતાં લોક પગે લાગીને પૂછતાં જાય છે : "કેમ અહીં બેઠા છો ?"
પ્રત્યેકને એ દુબળું મોં ચમકતી આંખે ને મલકાતે મોંએ જવાબ વાળે છે કે, "વાટ છે એક જણની."
મધ્યાહ્ન થયો. સીમમાંથી લોકો પાછાં વળ્યાં. તેમણે મહારાજને