પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
માણસાઈના દીવા
 

જાય છે. સાહેબ રવાના થાય છે. સભા વિખરાઈ જાય છે. લાંબું કરવામાં સ્વાદ રહ્યો નથી. રાંધી આણેલું ભોજન બેસ્વાદ બને છે.

સાહેબ ચાલ્યા ગયા એ સારું થયું; નહીં તો એ પોતડિઆળા માણસ પાસેથી સાહેબને કેટલીક એવી વાતો સાંભળવા મળત કે જે સાંભળવા પોતે તૈયાર નહોતા.

સાહેબે બોલાવેલ સભાના ખબર મહારાજને ગામડામાં મળ્યા હતા. ત્યાંથી પોતે રાતે આ ગામમાં આવીને શાંતિથી શ્રોતાજનોની વચ્ચે બેસી ગયા હતા. કાવીઠાવાળા ખોડિઆએ પરગણામાં સળગાવેલી હોળી વચ્ચે મળેલી આ સભા હતી. એ હોળીની આંચ ઉપર હાંડલીની માફક આ બ્રાહ્મણનું હૈયું સડસડતું હતું. ખોડિઓ હાથતાળી દઈને ગયો હતો, માણસાઈમાંથી ગયો હતો; અને એ માણસાઈનો માર્ગ ચુકાવનારી પરગણાની પોલીસ હતી, એ દિલદર્દે મહારાજની જીભેથી સભામાં આટલા અપવાદરૂપ ઊના શબ્દો કઢાવ્યા હતા.

ખોડિઆને હાથમાં લેવાનો સમય તો, આ ભાષણકર્તા સાહેબે એને બગલમાં લીધો તે દિવસથી જ, ચાલ્યો ગયો હતો. હવે તો ખોડિઆની લૂંટોથી ત્રાહિ ત્રાહિ પોકારતી વસ્તીને એ ત્રાસથી કેમ છોડાવવી એ જ પ્રશ્ન હતો. સાહેબે જ્યાં દમદાટીથી કામ લેવા ધાર્યું હતું, આખી કોમને ગુનેગાર ગણી ગાળો દીધી હતી, ત્યાં આ બ્રાહ્મણે પોતાના ધર્મને છાજતો માર્ગ ગ્રહણ કર્યો.

યજમાનોની ન્યાત ભેળી કરીને એણે કહ્યું : "આપણી ન્યાતમાં આ ચાલવા જ કેમ દેવાય ? ખોડિઆનો ખોપ આપણે જ બંધ કરાવવો જોઈએ.”

ન્યાતે નક્કી કર્યું કે કાવીઠાવાળાઓ આ એમના માણસનો ત્રાસ અટકાવે નીકર આખું કાવીઠા ન્યાત બહાર મેલાય.

કાવીઠાવાળાઓને સંદેશો પહોંચ્યો. ખોડિઆનો પક્ષ કરનાર ત્યાં કોઈ નહોતું. ખોડિઓ પેટમાં ખૂતેલ છૂરી–શો ખટકતો હતો; પણ એ છૂરી હાથ આવતી નહોતી.