પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘આપણી ન્યાતની ઇજ્જત’
૫૫
 

ડાકુને પ્રાણ બચાવી ભાગવું છે : કાકાના દીકરાને કાવીઠા ગામની આબરૂ બચાવવી છે. ઘડીઓ ગણાય છે : પારખાની પલેપલ જાય છે.

ખોડિઓ બથ છોડાવી ગયો હોત—

ત્યાં બાકીના આંબી ગયા. ખોડિઆની લીલા ખલાસ થઈ. એને ઝાલીને કાવીઠા ગામે પોલીસ–થાણે લાવ્યા : સોંપ્યો. સૌએ શ્વાસ હેઠો મેલ્યો : ન્યાતમાં મોં બતાવવાપણું થયું અને મહારાજ આવશે એટલે ઊજળાં મોં લઈને એમની આગળ ઊભા રહેવાનું આશ્વાસન સાંપડ્યું.

મહારાજ દોડતા આવ્યા—પણ ઊજળાં મોંને બદલે સૂનકાર ચહેરા નિહાળવા માટે, અને પાટણવાડિઆની બાઈઓની આંખોમાંથી વહેતી આંસુની ધારાઓ જોવા માટે.

ભાદરણ પરગણાના કોશિંદ્રા ગામમાં એમને ખોડિઓ પકડાયાની આખી હકીકત મળી હતી; પણ પોલીસે તો કાવીઠાના બીજા કેટલાય ગામ–મુખીઓને પકડી પેટલાદ ભેળા કર્યા હતા !

“શી વાત બની છે ?” આવીને મહારાજે પૂછપરછ કરી.

“કશી ખબર નથી.” લોકોએ બાઘા બનીને કહ્યું: "બસ, પકડી જ ગયા છે, ખુદ ખોડિઆને જેઓએ કબજે કર્યો, તે મરણના મોંમાં જનારાઓને જ ઝાલી ગયા છે.” કહી કહીને બૈરીઓ રડવા લાગી. એમની કાખમાં નાનાં છૈયાં હતાં.

મહારાજે તેમના મનની અણકથી વાત પણ ઉકેલી : 'આવી ખબર હોત તો એને પકડાવત જ શા માટે ? પકડાવીએ તો જ આ વપત્ય પડે ના ! રડ્યો ચરી ખાતો હતો તો પોલીસ કોનું કાંડું ઝાલત ! ડાકુને તો સંતાડ્યે જ સારાવાટ છે !'

મહારાજને શ્વાસ હેઠો મેલવાનો સમય ન રહ્યો. એ ચાલતા પેટલાદ પહોંચ્યા. માણસાઈના દીવા ફરી પાછા ઓલવાઈ જવાની એમને બીક લાગી હતી.

“શું છે તે બીજાઓને પકડી આણ્યા છે, ભા ?” એમણે સરફોજદારને પૂછ્યું.