એણે ઝઘડો માંડ્યો.
"મારાથી એ ન ખવાય, શંકર ! એ જેલના કાનૂનની વિરુદ્ધ છે."
જેલના કાનૂન ? શંકરિયાને જેલના કાનૂનની શી પડી હતી ! આત્માનો કાનૂન એ જ એને મન સાચો હતો — પાંચ વર્ષ પર કોઈકના રોટલા લૂંટતો ત્યારે પણ. અને અત્યારે પોતાના રોટલા આપતો હતો ત્યારે પણ. એ આત્માના—પ્રેમના—કાનૂનની પોતાને આવડી તેવી ઘણી ઘણી ભાંગીતૂટી વાતો શંકરિયાએ મહારાજને કહી અને મહારાજે એને સામાજિક નીતિના મુદ્દા સમજાવ્યા. ઘણી જિકર પછી શંકરિયાનું દિલ સમાધાન પામ્યું ને એણે કહ્યું : "વારુ ત્યારે, હવે ઘઉંના રોટલા નહીં મોકલું."
"હેં શંકર ?" મહારાજે જ્યારે આ કહ્યું ત્યારે એનું મોં પડી ગયું અને મૃદુ અવાજ ગરીબડો બની ગયો :
"મારે ભીખા (દેદરડાવાળા)ને મળવું છે."
"એને મોકલીશ એનેય તમને મળવા બહુ મન છે."
વળતે દિવસે મહારાજને એક કેદીએ ખબર દીધા : "તમે આપણા ચક્કરની ખાળે જાવને."
"કાં ?"
"ત્યાં એક જણ તમને મળવા તેડાવે છે. એ બહાર ઊભેલ છે; ખાળેથી વાતો થશે."
"કોણ છે ?"
"ભીખો કરીને કેદી છે."
"એને કહેજો કે હું ચોરીછૂપીથી ખાળ વાટે વાતો કરવા નથી આવવાનો."
વળતે દિવસે મહારાજ ચક્કી પીસી રહીને નાહવા જતા હતા. આખું શરીર લોટ લોટ હતું. તે વખતે એક કેદી દોડતો આવીને એમના પગમાં પડી ગયો. એને મહારાજે ઊભો કરીને નિહાળ્યો : એ ભીખો હતો. પાંચ વરસ પહેલાં જે જુવાનને બોરસદની 'લૉક-અપ'ના બારણાના