પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ખાનારા હોય છે પણ તેઓએ લડતમાં બે વેળાથી સંતોષ માન્યો. તેઓ ઝીણો ઝીણો સ્વાદ કરનારા હોય છે. તે સ્વાદ પણ અહીં છોડ્યા.

આ જથાબંધ જમા થએલા માણસોનું શું કરવું એ વિચાર કરવા જેવું થઇ પડ્યું. ચાર્લ્સટાઉનમાં અગવડે સગવડે આટલા બધા માણસોને લાંબી મુદત સુધી રાખવામાં આવે તો રોગ ફાટી નીકળવાનો સંભવ રહ્યો. એટલા હજાર માણસ જે હમેશાં કામ કરનારા હોય છે, તે નવરા બેસી રહે એ પણ ઠીક ન ગણાય. આ સમયે એટલું કહી જવાની જરૂર છે કે આટલા ગરીબ માણસો એકઠા થએલા છતાં ચાર્લ્સટાઉનમાં તેઓમાંના એકે પણ ચોરી નહિ કરેલી. પોલીસની જરૂર કોઇ પણ વેળા નહિ પડેલી. તેમ પોલીસને કોઇ પણ વેળા વધારે કામ નહોતું કરવું પડ્યું. છતાં હવે ચાર્લ્સટાઉનમાં નજ બેસી રહેવું એજ ઉત્તમ રસ્તો જણાયો. તેથી ટ્રાંસવાલમાં દાખલ થવાનો ને છેવટે જો ન પકડાઇએ તો ટોલ્સટોપ ફાર્મ પહોંચવાનો ઠરાવ કર્યો. કુચ કરતાં પહેલાં સરકારને ખબર આપી કે પકડાવાને ખાતર અમે ટ્રાંસવાલમાં દાખલ થવાના છીએ. અમારે ત્યાં રહેવું નથી, ત્યાંના હકની ઇચ્છા નથી, પણ જ્યાં સુધી સરકાર નહિ પકડે ત્યાં સુધી અમે અમારી કુચ જારી રાખશું અને છેવટે ટોલ્સટોય ફાર્મ પર મુકામ કરશું. સરકાર જો પા. ૩ નો કર કહાડી નાંખવાનું વચન આપે તો અમે પાછા જવા તૈયાર રહેશું. આ નોટીસની ઉપર સરકાર ધ્યાન આપે એવી તેના મનની સ્થિતિ નહતી. તેના જાસુસો તેને ભમાવતા હતા. લોકો થાકશે એમ સમજાવતા હતા. સરકારે બધી ભાષાઓમાં નોટીસ છપાવીને હડતાલીઆઓને વહેંચી હતી.