પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
ગાંધીજીનો જેલનો અનુભવ.

ભલો અને માયાળુ જણાતો હતો. હમ્મેશાં ચિવ્વટથી પૂછતો. જેલના ધારા પ્રમાણે દરેક કેદીએ પહેલે દહાડે જાહેર નાગા થઈ ડાક્ટરને પોતાનું શરીર બતાવવું જોઇએ, પણ ડાક્ટરે અમારા સંબંધમાં એ ધારો લાગૂ ન પાડ્યો, અને જ્યારે ઘણા હિન્દી કેદી થયા ત્યારે તેણે કહ્યું કે જો કોઇને ખસ વિગેરેનું દરદ હોય તો અમારે જાહેર કરવું કે જેથી ડાક્ટર તેવા માણસને એકાંતમાં લઇ જઇ તપાસશે. સાડા દશ કે અગિયાર વાગે ગવર્નર તથા મુખી દારોગો આવતા. ગવર્નર બહુ દૃઢ, ન્યાયી અને શાંત સ્વભાવનો માણસ જોવામાં આવ્યો. તેનો હમ્મેશાં એક જ સવાલ હતો. તમે બધા સારા છો? તમારે કંઇ વસ્તુ જોઇએ છે? તમારે કંઈ રાવ ખાવાની છે? જ્યારે જ્યારે કંઈ માંગણી કે રાવ કરવામાં આવતી, ત્યારે તે ધ્યાન દઇ સાંભળતો અને બની શકે તે માંગણી કબૂલ કરતો, અને રાવ ખાધી હોય તો તેનો ફડાચો કરતો. કેટલીક રાવ અને માંગણીઓનું આગળ ઉપર વિવેચન કરીશ. ડેપ્યુટી ગવર્નર પણ કોઇ કોઇ વેળા આવતો. તે પણ ભલો હતો, પણ સર્વથી ભલો સુશીલ અને લાગણીવાળો તો અમારો ખાસ ઉપરી જે "મુખી દારોગો" કહેવાતો હતો તે હતો. તે પોતે બહુ ધાર્મિક હતો, અને એની વર્તણૂંક માત્ર અમારી તરફ સરસ અને સભ્ય હતી, એટલું જ નહિ, પણ દરેક, કેદી છૂટે મોઢે તેના ગુણ ગાતો હતો. કેદીઓના હક જે કાંઇ હોય તે પૂરા જાળવવામાં તેને ખંત હતી. કેદીઓમાં નજીવો ગુન્હો જોવામાં આવે તો તે દરગૂજર કરતો. અમે બધા ખરૂં જોતાં બિનગુન્હેગાર હતા એમ સમજી અને જાણીને તે વિશેષ માયા રાખતો હતો. પોતાની લાગણી