પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
ગાંધીજીનો જેલનો અનુભવ.

તેથી અમે ઉપરના ખોરાકથી સંતોષ માન્યો.

ગવર્નરે અમને પૂછપરછ કરેલી તેના જવાબમાં તેને કહ્યું કે" ખોરાક બરાબર નથી. પણ સરકારની પાસેથી અમે કંઈ મહેરબાની નથી માગતા, જો સરકારને જ સૂઝે ને ફેરફાર કરે તો ઠીક જ છે. નહિ તો અમે જે ધારાસર ખોરાક મળે છે તેજ લઈશું."

આવી અટક લાંબી મુદ્દત નહિ ટકી. બીજા માણસો જ્યારે આવ્યા ત્યારે અમે બધાએ વિચાર કર્યો કે બીજાઓને ખોરાકના દુઃખમાં સાથી કરવા તે ઠીક નહિ કહેવાય. તેઓ જેલમાં આવ્યા તેજ બસ ગણાય. અને તેઓને ખાતર સરકારની પાસેથી જુદી માંગણી કરવી એ બરોબર છે. એવા વિચારથી ગવર્નર આગળે તે બાબતની વાતચિત કરવાનું શરૂ કરી દીધું. ગવર્નરને કહ્યું કે જો કે અમે ગમે તે ખોરાક લઈશું, તો પણ અમારા પછીના તેમ કરી નહિ શકે. ગવર્નરે તે બાબતે વિચાર કર્યો, ને જવાબ આપ્યો કે, "માત્ર ધર્મને ખાતર નોખી રસોઈ કરવાને હોય તો તે કરવાની રજા મળી શકશે. પણ ખોરાક તો જે અપાય છે તે જ મળશે. બીજો ખોરાક આપવો તે મારા હાથમાં નથી."

દરમિયાન ઉપર પ્રમાણે ચૌદ બીજા હિન્દી આવી પહોંચ્યા. તેઓમાંના કેટલાક તો પૂપૂ લેવાની ચોખ્ખી ના પાડીને ભૂખ વેઠવા લાગ્યા. તેથી હું જેલના ધારા વાંચી ગયો અને તેમાં મેં જોયું કે આવી બાબતની અરજી ડિરેક્ટર ઑફ પ્રિઝન (જેલ ખાતાના વડા) ને થઇ શકે, તેથી ગવર્નરની પાસે અરજી કરવાની પરવાનગી માંગીને નીચે પ્રમાણે અરજી મોકલી.