પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ઉત્સાહ થયો. મી. થંબી નાયડુનું કુટુંબ આખું તૈયાર થયું. તેમની ઓરત, સાળી, સાસુ, મી. મુરગનનાં સગાંઓ, મીસીસ પી. કે. નાયડુ, અમર નામ કરી ગએલી બહેન વાલીઆમા અને બીજી સ્ત્રીઓ તૈયાર થઇ. તેઓ કાખમાં બાળકો લઇ ચાલી નીકળી. મી. કેલનબેક તેઓને લઇ ફીનીખન ગયા. ત્યાં જવામાં એવી ઉમેદ હતી કે તેઓ ફ્રી સ્ટેટની સરહદ પર જઇ પાછા વળતાં પકડાશે. તેઓની ઉમેદ બર ન આવી. તેઓએ કેટલાક દિવસ દુ:ખે સુખે ફીનીખનમાં ગાળ્યા. ત્યાં ટોપલીઓ લઇ ફેરી કરી પકડાવાનો પ્રયત્ન કર્યો પણ કોઇએ તેઓને પકડી નહિ.

આ નિરાશામાં અમર આશા છુપાઇ રહેલી હતી. જો ઓરતોને સરકારે ફીનીખનમાંજ પકડી હત તો વખતે હડતાલ ન પડત. એટલું તો ચોકસ છે કે જે પાયા ઉપર હડતાલ જામી તે પાયા ઉપર તો નજ જામત. પણ કોમ ઉપર ઇશ્વરનો હાથ હતો. તે સદા સત્યનો બેલી છે. ઓરતો ન પકડાઇ તેથી એમ ઠર્યું કે તેઓએ નાતાલની હદ ઓળંગવી. જો તેઓને ન પકડે તો તેઓએ મી. થંબી નાયડુની સાથે ન્યુકાસલ મથક કરવું. તેઓ નાતાલ તરફ રવાના થઇ. સરહદપર પોલીસે ન પકડી. ન્યુકાસલ ઘર કર્યું. ત્યાં મી. ડી. લેઝર્સે પોતાનું ઘર ઓરતોને સોંપ્યું. ને તેમની ઓરતે તથા સાળી મીસ થોમસે આ સત્યાગ્રહી ઓરતોની સારવાર કરવાનું માથે લીધું.

ઠરાવ એવો હતો કે ઓરતોએ ન્યુકાસલમાં ગીરમીટીયાની ઓરતોને તથા ગીરમીટીયાને મળવું. તેઓને તેઓની દશાનો ચિતાર આપવો ને ત્રણ પાઉંડના કર બાબત હડતાલ પાડવા સમજાવવું.