દાગતરખાને પડશું."
"હા, બાપા !" બાઈ બોલી: "મારાં તો પૂરાં પાપ ઊવળ્યાં છે. પણ મારાં છોકરાંના ભાગ્ય હશે તો પાછી આવીશ."
"છોકરાં છે ! કેવડાં છે ?" વિદ્વાનને ધૃણા આવી. 'બેકારો પણ બ્રહ્મચર્ય ન પાળે !' એ એના આત્માની ઊંડી વરાળ હતી.
"એક તો મારી પોટી ધાવણી છે. ચાર અવડ્યાં-અવડ્યાં છે..." બાઈએ ભોંયથી એક-બે ફૂટ ઊંચે હાથ રાખીને, વનસ્પતિના રોપા બતાવતી હોય તે રીતે, ખ્યાલ આપ્યો. "ઘરમાં એક મણ દાણો નાખી આવ્યાં છીએ. હળુ-હળુ રાંધીને ખાશે."
વિદ્વાનના હાથમાં ચોપડી હજુ બંધ હતી. એણે સલાહ આપી: "નડિયાદ જાવ ને ! મીરજ કાં નથી જતા ? ત્યાં વાઢકાપનું દવાખાનું છે."
બાઈ અને એનો ધણી આ બોલ સાંભળીને તાકી રહ્યાં. ભાષા કંઈક અજાણી હોવાનો વહેમ પડ્યો.
બાજુમાં બેઠેલ બાવાજીના ચેલા સાંધાવાળાથી ન રહેવાયું: "હવે મીરત્ય ને ફીરત્ય, રાજકોટ ને નડિયાદ... કોણ બેટીનો બાપ આવરદાની દોરી સાંધવાનો હતો ? આવા અબધૂતનાં પગું ઝાલી લ્યો ને !"
ફકીરથી ન સહેવાયું: "દાતારની ટેકરીને માથે કૈક ઓલિયા પડ્યા છે. મીટ્યું મળ્યે મુડદાં ઊઠે."
જેના કાળા રંગની ઝાંય પડે એવી ત્રણ પહેલવાન ઓરતો આઘેરી બેઠી હતી, તેમાંથી એક બોલી: "અરે બાઈ ! આંઈ અંતરિયાળ શું ઉપાય ! કંડોરણે આવે તો એક દિ'માં ફેર દેખાડીએ. ન મટે શું ! કૈકને મટાડ્યાં છે."
વઢવાણ સ્ટેશને સહુ વિખરાયાં. રહ્યાં ફક્ત ત્રણ જણાં: એક વિદ્વાન, બીજો બગોયા ગામનો બોખો સામત કોળી, ને ત્રીજી પોટીની મા સજૂડી. સજૂનો ગૂંચળાકાર હજુ ચાલુ જ હતો.
"સામત પગી !" વિદ્વાને 'ઇન્સાફના આર્તનાદ'ની ચોપડીની મોહિની અને આ માર્ગમાં વળગી પડેલી અધ્યારી વચ્ચે મનને માંડમાંડ વારીને વાતો