પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરત જ મેં મારી બૈરીને કહ્યું: "પાંચ શેર ઘઉં લાવો."

"ન લાવતાં, હો બેન !" એટલું કહેતાં જ ઘૂઘા ગોરનું મોં છોભીલું પડ્યું. મને નવાઇ લાગી. મેં પૂછ્યું: "કેમ ?"

"અહીં એકાદ ઠેકાણું તો શુધ્ધ વિશ્રામનું રહેવા દ્યો, ભાઇસા'બ !"

"કેમ ?"

"તમે સમજ્યા નહિ, ભાઇ !" એણે વાત બદલાવીઃ "ભીલ જેને લૂંટે તેને પે'લાં તો લોહીલોહાણ કરે જ કરેઃ અણહક્કનો માલ ન લ્યે. તેમ હું ગોરપદું લઉં છું ત્યાં ત્યાં છેતરીને લઉં છું: અણહક્કનું નથી લેતો, ભાઇ. હમણાં જ ગામમાં જઇશ. એક રાંડીરાંડ રેંટિયો કાંતીને ઉદર ભરે છે. મરતી સાસુને એણે અગિયારશનું પુણ્ય બંધાવ્યું છે. મને બોલાવ્યો'તો; પૂછ્યું'તું: 'હેં ભઇલા ! આવ ને, બાપ; એક વાત પૂછું. આ અગિયારશનું પૂણ્ય આપવા જો હું પરભાસ જાઉં, તો તો પચાસ રૂપિયા પડેઃ ક્યાંથી કાઢું ? તું કંઇ ઓછે નહિ કરી દે, હેં ભઇલા ?' સાંભળીને ધડીવાર તો મારું હૃદય ઊકળી આવ્યું. ઉજળિયાત વર્ગની રાંડીરાડની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે. મન થયું કે કહી દઉં: 'બેન ! આ ધતિંગ શીદ કરે છે ?' પણ બીજો જ વિચાર આવ્યોઃ કોઇ બીજો ગોર જાણશે ને, તો આને આડું અવળું ભંભેરીને પોતે વધુ કિંમત લઇ સંકલ્પ કરાવશેઃ તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લઉં ! આ એટલા માટે જાઉં છું. રૂપિયા બે-ત્રણ પડાવી આવીશ. સરગની નીસરણી ને સાખિયો મારે ઘેરથી લઇ જઇશ. એવાં ઊંઠાં સાંજ પડ્યે એકાદ-બેને શું હું નહિ ભણાવી શકું ? બાર મહિને મારા ઘર જોગા દાણા ન ઊભા કરી શકું ?"

"હજુય શું લોકશ્રધ્ધા એવીને એવી જ રહી છે, ઘૂઘા ગોર ? મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઇ ચૂકી છેઃ કેમ કે હું આંહીંની ક્રાંતિ વિષે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો."

"શ્રધ્ધા તો બેવડી બની છે. દા'ડે - દા'ડે જોર પકડતી જાય છે. બેશક, એમાં થોડી 'સાઇકોલોજી' આવડવી જોઇએ."

"સાઇકોલોજી !" ઘૂઘા ગોરના મોમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય