"દુનિયા સાથે અમારે જાણે કશી સ્નેહગાંઠ જ નથી રહી. અહીંથી ભાગી છૂટવાનું મન થાય છે."
એ જ વખતે દૂરથી,
દરિયાના બેટમાં રહેતી,
પ્રભુજીનું નામ લેતી હું દરિયાની માછલી.
મને બારણે કાઢવી નો'તી: હું દરિયાની માછલી.
- એવું ગીત ગાતી ગાતી નવી બા ખડકોમાં ફરીને ચાલી આવે છે. એના આખા શરીરમાં તરવરાટ છે. કોઈ અકળ કારણસર ઉત્તેજીત થઈ હોય તેમ એ આવીને બોલી ઊઠી: "વાહ! અહીં સરસ છે, હો!"
"બેસો ને, જલદેવી!" માસ્તરે કહ્યું.
"ના ના, બેસવું તો નથી જ. ઊભવાનું ને દોડવાનું મન થાય છે. દરિયામાં દૂર પેલું ક્યું જહાજ દેખાય છે, ભલા?"
"ઉત્તર દેશનું જહાજ લાગે છે." પુત્રી બોલી.
"બોયા પાસે થઈને ત્યાં મછવા ઊભા છે તે ઠેકાણે અડધો કલાક રોકાશે. પછી પેલી બાજુ થઈને ખાડીમાં આવશે."
"અહીં રોકાશે?"
"હા, ખાડીમાં કિનારે એક જ દિવસ નાંગરશે."
"ને પાછું કાલે ચાલ્યું જશે, ખરું? અસીમ મહાસાગરની સફરે નીકળી પડશે. આહા! એ બધા મુસાફરોની સાથે જઈ શકાતું હોત! અસીમ સાગરમાં પૃથ્વી દેખાય જ નહિ. કેવું સુખ!"
"તમે કદી મોટી સફર કરી જ નથી શું?"
"ના રે ના, ખાડીમાં જ ફર્યા છીએ." પુત્રીએ નિ:શ્વાસ નાખીને કહ્યું: "આપણાં પનારાં જ સૂકી પૃથ્વી સાથે પડ્યાં, ત્યાં બીજું શું થાય!"
માસ્તરે કહ્યું: "ગમે તેમ તોય પૃથ્વી આપણું ખરું વતન છે, આપણી માતા છે."
"ના ના." જલદેવી બોલી ઊઠી: "મને તો લાગે છે કે લોકો જો પહેલેથી જ જળ ઉપર - અરે, જળની અંદર જળચરોની માફક - રહેતાં