પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથમાં સોંપાવીશ."

"નહિ નહિ, દાક્તર! એવું ન કરશો. હું એને પૃથ્વીનો કેદી નહિ બનાવું. એ તો છે અસીમ સમુદ્રનો જીવ: એને હું કેદી નહિ કરાવું."

"જલદેવી! હાય! ઓ જલદેવી! તને શું થઈ રહ્યું છે?"

"દાક્તર! મને મારા પોતાના મનનાં ભૂતોથી બચાવો."

"જલદેવી! આની પાછળ શું છે? કાંઈક છે ખરું?"

"છે, છે: ખેંચાણ છે, પ્રલોભન છે."

"હજુયે પ્રલોભન રહ્યું છે?"

"હા, એ માનવી જાણે કે સાક્ષાત્ દરિયો છે."

[૪]

એ આખી રાત દાક્તરે જાગતા ગાળી. એની દાક્તરી વિદ્યાએ જલદેવીનો રોગ જોઈને હાથ ધોઈ નાખ્યા. આખી રાત જલદેવી શાંત પડી હતી. પણ એ શાંતિના અતલતલમાં તોફાન હતું. એનો તલસ્પર્શ અશક્ય હતો. જલદેવી સમુદ્રની સૃષ્ટિનું પ્રાણી હોવાની એને ખાતરી થઈ. સમુદ્રના જીવો સમુદ્ર જેવું જ જીવન જીવે છે: સમુદ્રમાં ભરતી-ઓટ સમાન જ એ જીવાત્માઓની ઊર્મિઓના જુવાળ ચડે-ઊતરે છે. એવાં સમુદ્રવાસી પ્રાણીઓ કે માનવીઓ ધરતી પર ન ઊતરી શકે. એનાં મૂળ પૃથ્વીમાં ન બાઝે. મેં મોટી ભૂલ કરી. જલદેવીને ધરતી પર આણીને મેં પાપ કર્યું. હું માત્ર એના પરના પ્રેમને કારણે બીજું કશું જ વિચારી ન શક્યો. હું મારી ને એની વચ્ચેનું વયનું અંતર પણ ન વિચારી શક્યો. એને અહીં લાવ્યા પછી પણ મેં મારા સંસ્કારોનો વિકાસ ન આપ્યો: એ હતી તેવી જ મને વહાલી લાગી. આજ એ દરિયાનું જળચર જ રહી, ને હવે માછલી જેવી ઝૂરે છે. એનો પ્રાણ પેલા પ્રવાસીની પાછળ ધસે છે. એના અંતરમાં છૂપું વશીકરણ તોફાન મચાવી એને ચીસો પડાવે છે. શું કરું? એને જવા દઉં? તો મારું, એનું સહુનું શું થશે?

બીજે દિવસે જલદેવીએ પહેલી જ તકે કહ્યું કે, "આજે તમે ક્યાંય ટાપુમાં વિઝિટે ન જતા, હો કે!"